!! નિ:શબ્દ !! = “શ્રીપતિ”

Image

નિ:શબ્દ.

= શ્રીપતિ.

 

 “દોસ્ત, શાશ્વત હવે બહુ થયું. લગ્ન કરી લે. ક્યાં સુધી તેની રાહ જોઇશ , અનામિકા તો પરણી ને પારકી થઇ ગઈ.”

“એ અનામિકાની બેવફાઈ નહી પણ ખાનદાનની છે તીર્થ , અને તેના પરિવાર સાથેની વફાદારી.”

“તું તેને  પાંચ વરસથી પ્રેમ કરે છે, તો એ તારા પાંચ વરસના પ્રેમના બદલામાં તે શું મેળવ્યું ?”

“માત્ર મેળવવું એ જ પ્રેમ નથી કુરબાની આપવી તે પણ પ્રેમ છે. તેણે પોતાના પરિવારના પ્રેમ માટે મારા પ્રત્યેના પ્રેમની કુરબાની આપી છે.”

“તારા પાંચ વરસના પ્રેમ ખાતર પણ તેણે તેના માં-બાપનું ઘર ના છોડ્યું.”

“હું તેને પાંચ વરસથી પ્રેમ કરતો હતો, પણ તેનો પરિવાર તેને ચોવીસ વરસથી પ્રેમ કરે છે, કોનો પ્રેમ વધારે મારો કે તેના પરિવારનો ?”

“તારી સાથે તો વાત કરવી નકામી છે શાશ્વત, તને ક્યાય અનામિકાનો વાંક દેખાતો જ નથી. મેં સાંભળ્યું હતું કે ‘પ્રેમ આંધળો હોય છે.’ આજે જોઈ પણ લીધું.”

               ઊંઝાના બસ ડેપોના પ્રાંગણમાં ચાલતી આ દલીલબાજી  બે મિત્રો વચ્ચેની છે. શાશ્વતનો આ રોજનો ક્રમ છે, સાંજના સમયે અહી આવી કોઈની રાહ જોવાનો. અને આ ક્રમ એક બે દિવસથી નહી પણ પુરા ચાર વરસથી ચાલ્યો આવે છે. પણ ચાર વરસથી તે જેને મળવા અહી આવે છે તે અનામિકા એક વાર પણ અહી આવી નથી. છતાં પણ આજે શાશ્વત તેની આવવાની ઉમીદ લઈને બેઠો છો. અને આજે પણ તેને તેની અનામિકાના ના આવવા બદલ કોઈ ગુસ્સો કે ફરિયાદ નથી. કોઈવાર તેનો મિત્ર તીર્થ પણ તેની સાથે અહી આવે છે. જેટલીવાર  તીર્થ શાશ્વતની સાથે અહી આવે છે તેટલીવાર ઉપરના સંવાદનું પુનરાવર્તન થતું રહે છે.

               હા આજે એ વાતને પાંચ વરસ થઇ ગયા. શ્રાવણ માસનો વરસાદ હેલી માંડીને બેઠો હતો. શાશ્વત તે વખતે ઉંઝાની એન્જિનીયરીંગ કોલેજમાં પ્રથમ વરસમાં ભણતો હતો. કોઈ કામથી મહેસાણા ગયેલા શાશ્વતને તે દિવસે ઊંઝા પાછા ફરવામાં મોડું થઇ ગયું હતું. તે મહેસાણામાં રાધનપુર ચોકડી પર કોઈ સાધન મળવાની રાહ જોઈ રહ્યો હતો. ધોધમાર વરસાદને લીધે તેનું આખું શરીર પલડી ગયું હતું. રાત બહુ થઇ ગઈ હોવાથી કોઈ સાધન પણ મળતું ન હતું. એટલામાં એક તુફાન ગાડી આવી, શાશ્વતે હાથ લાંબો કર્યો અને ગાડી ઉભી રહી. સદનસીબે ગાડી ઊંઝા જ જતી હતી તે પાછળના ભાગે બેસી ગયો. અંધારાને લીધે ગાડીમાં કોણ કોણ બેઠું છે તે દેખાતું ન હતું. ગાડી પુર ઝડપે દોડી રહી હતી. અચાનક આકાશમાં એક જોરદાર વીજળી થઇ અને તેનો પ્રકાશ થોડી ક્ષણ માટે આખી ગાડીમાં પસરાઈ ગયો. અને આજ એ ક્ષણ હતી જયારે શાશ્વતની નજર પોતાની સામેની સીટમાં બેઠલી એક કાચની પુતળી જેવી સુંદરી પર પડી. શાયરો જેને પહેલી નજરનો પ્રેમ કહે છે તેનો શાશ્વતને સાક્ષાત્કાર થયો. એક ક્ષણ માટે જોયેલો તે સુંદરીનો ચહેરો શાશ્વતની નજરમાં એવો તે વસી ગયો કે પછી ક્યારેય ત્યાંથી ખસ્યો જ નહી. થોડી થોડીવારે આકાશમાં થતી વીજળીના અજવાળે શાશ્વત તે સુંદરીના રૂપનું પાન કરી રહ્યો હતો. જોરદાર વરસાદના કારણે બહાર વાતાવરણ એકદમ ઠંડું બની ગયું હતું. બારીમાંથી આવતો ઠંડો પવન શરીરને થીજવી નાખતો હતો. ગાડીનો ડ્રાઈવર પણ પલળ્યો હતો એટલે તેણે ઠંડી ઉડાડવા માટે એક હોટલ આગળ ચા પીવા માટે ગાડી વાળી. પછી તો ગાડીનો આખો કાફલો ચા પીવા નીચે ઉતર્યો. બીજા પાંચ લોકોનું ટોળું પણ ઉતર્યું જેમાં પેલી સુંદરીનો પણ સમાવેશ થતો હતો. શાશ્વતને સમજાઈ ગયું કે તે પેલી સુંદરીનો પરીવાર હતો. હોટેલની ઝગારા મારતી લાઈટોના અજવાળામાં શાશ્વતને તેને નિહારવાનો મોકો મળ્યો. તેની સાદગી એજ તેનું રૂપ હતું. ડિક્શનરીમાં અપ્સરા શબ્દની સામે તે સુંદરીનો ફોટો મૂકી દેવામાં આવે તો તે શબ્દનો બીજો કોઈ અર્થ આપવાની જરુર રહે નહી તેવી તેની સુંદરતા હતી. વરસાદથી પલળીને પારદર્શક બની ગયેલા સફેદ રંગના ડ્રેસમાંથી તેનું સૌન્દર્ય ડોકિયા કરી રહ્યું હતું. વર્ષોથી તપસ્યામાં બેઠેલા યોગીઓનું તપ તોડાવે તેવું તેનું સૌન્દર્ય હતું.

           ચા પીને બધા ગાડીમાં પાછા ગોઠવાયા. ચા પીધા પછી બધાને સ્ફૂર્તિ આવી હતી એટલે બધા વાતે વળગ્યા. એ લોકોની વાતચીત દરમ્યાન કોઈના એ સુંદરી તરફ લંબાતા હાથ અને મોઢામાંથી નીકળતા ‘અનામિકા’ શબ્દ પરથી શાશ્વતને સમજવામાં વાર ના લાગી કે તે સુંદરીનું નામ અનામિકા હતું. તેમની વાતચીત પરથી જ તેણે જાણી લીધું કે અનામિકા પણ ઊંઝામાં જ રહેવાવાળી હતી. અને પાટણ પાસેના ધારપુર મેડીકલ કોલેજ ખાતે મેડીકલની સ્ટુડન્ટ હતી. રોજ ઊંઝા થી ધારપુર અપ-ડાઉન કરતી હતી. એ લોકોની વાતોમાં ઊંઝા ક્યારે આવી ગયું તેની શાશ્વતને ખબર જ ન પડી. તે હાઇવે પર ઉતરી ગયો. અને ગાડી ઊંઝા શહેરમાં વાળી ગઈ. એ આખી રાત શાશ્વતને ઊંઘ ન આવી લાખ પ્રયત્ન છતાં અનામીકાનો ચહેરો તેની નજર સામેથી ખાસતો ન હતો. આકશમાં ચમકતી વીજળી વારે વારે અનામિકાના ચહેરાને શાશ્વત સમક્ષ ખડી કરી દેતી હતી. છેવટે શાશ્વતને મનમાં કંઇક જબકારો થયો, તેણે કોઈ નિર્ણય લીધો. તે શું હતો તે ખબર ના પડી પણ તેના ચહેરા પર વર્તાયેલી હાસ્યની લહેર પરથી સમજાયું કે તે કોઈ ખુશીની વાત હતી.

                    સવાર પડતા જ તે ઝડપથી તૈયાર થઈને ઊંઝા બસ સ્ટેશન પર પહોચી ગયો અને ત્યાં અનામિકાના આવવાની રાહ જોવા લાગ્યો. થોડા સમયની પ્રતીક્ષા બાદ તેની તપશ્ચર્યા ફળી અને તે જેને શોધવા નીકળ્યો હતો તે અનામિકા પોતાની સહેલીઓ સાથે બસ સ્ટેશનમાં આવી. શાશ્વત દુરથી  તેને જોતો રહ્યો. તેના હદયમાં અનામિકા માટે અજબની લાગણી જન્મી હતી. તેને અનામિકા સાથે પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો હતો. લવ એટ ફર્સ્ટ સાઈડ. થોડીવારમાં પાટણની બસ આવી અને ધારપુર કોલેજ જવા વાળું આખું ગ્રુપ તે બસમાં ચઢી ગયું. શાશ્વત નીચે ઉભો રહીને જ્યાં સુધી બસ ઉપડી ત્યાં સુધી બારીમાંથી અનામિકાને જોઈ જ રહ્યો. પછી તો આ શાશ્વતનો રોજનો ક્રમ બની ગયો. રોજ બસ સ્ટેશન આવવું અને અનામિકાને જોવી. ઘણીવાર તે તેના મિત્ર તીર્થને પણ સાથે લઇ આવતો. તે અનામિકાને પોતાના મનની વાત કહેવા માંગતો હતો, પણ તેની પાસે કોઈ માધ્યમ ન હતું કે ન હતો અનામીકાનો ફોન નંબર. કુદરત પહેલેથી જ શાશ્વતને સાથ આપી રહી હતી. આ વખતે પણ આપ્યો. એક દિવસ પોતાના નિત્યક્રમ મુજબ શાશ્વત બસ સ્ટેશન આવ્યો ત્યારે અનામિકા પોતાનો બસ પાસ કઢાવવા માટે લાઈનમાં ઉભી હતી. વળી તેને કોલેજ જવાનું પણ મોડું થતું હતું. શાશ્વતે આ તક ઝડપી લીધી તે અનામિકા પાસે જઈ લાઈનમાં ઉભો રહી ગયો થોડીવાર થઈને અનામિકાની બસ આવી. અનામીકા મુઝવણમાં મૂકાઈ ગઈ. ‘કોલેજ જવું કે લાઈનમાં ઉભા રહી પાસ કઢાવવો ?’ શાશ્વતે અનામિકાની મનની મુંઝવણ જાણી લીધી અને તેણે તક ઝડપી લીધી. તેણે અનામિકાના હાથમાંથી પાસ કઢાવવાનું ફોર્મ લઇ લીધું અને કહ્યું, “તમે જાઓ તમારી બસ આવી ગઈ, તમારો પાસ હું કઢાવી લઈશ, મારે પણ કઢાવવાનો છે. કોલેજ જવાની ઉતાવળમાં અનામિકા શાશ્વતનો ચહેરો જોવા ના રહી અને પોતાનું પાસ માટેનું ફોર્મ તેના હાથમાં આપી પોતાની બસ તરફ દોડી ગઈ. ઉતાવળમાં તે શાશ્વતને પાસની ફી ના પૈસા આપવાનું પણ ભૂલી ગઈ.

               શાશ્વતને તો આટલું જોઈતું જ હતું. સાંજે જયારે અનામિકા પાછી ફરી ત્યાં સુધી શાશ્વત ત્યાજ રોકાયો અને અનામિકાને મળી તેનો પાસ આપ્યો. આ વખતે અનામિકા એ શાશ્વતને જોયો. તેને નવાઈ લાગી આજ પહેલા તેણે ક્યારેય શાશ્વતને જોયો ન હતો. તેની નવાઈનો પાર ના રહ્યો જેને તે ઓળખાતી નથી તેવી કોઈ વ્યક્તિએ તેના માટે લાંબી લાઈનમાં ઉભા રહીને બસનો પાસ કાઢી આપ્યો હતો. તેણે શાશ્વત સામે જોઈને કહ્યું, “થેન્ક્યુ. પણ મેં તમને ઓળખ્યા નહી ! શું આપણે પહેલા મળેલા છીએ ? શાશ્વતે હકારમાં માથું હલાવ્યું અને કહ્યું, “હા એક દિવસ મહેસાણાથી…..” શાસ્વત પોતાની વાત પૂરી કરે તે પહેલા તો અનામિકાની સહેલીએ તેણે બુમ મારી અને તે “સોરી હો મોડું થાય છે” કહી પાસ લઈને ચાલી ગઈ. શાશ્વતના અધૂરા શબ્દો તેના હોઠમાં જ રહી ગયા. સવારની જેમ અત્યારે પણ તે ઉતાવળમાં શાશ્વતને પાસની ફીના પૈસા આપવાનું ભૂલી ગઈ.  ઘરે ગયા પછી અનામિકાને યાદ આવ્યું કે તે પોતાના માટે લાઈનમાં ઉભા રહીને પાસ કઢાવનાર એક અજાણી વ્યક્તિને પૈસા આપવાનું પણ ભૂલી ગઈ છે. તેણે મનમાં બીજા દિવસે મળીને પૈસા આપી દઈશ એમ નક્કી કર્યું. બીજા દિવસે તેણે શાશ્વતને શોધવાની કોશિશ કરી પણ તે ક્યાય દેખાયો નહી. આમ ને આમ અઠવાડિયું પાસાર થઇ ગયું.

            

                એક દિવસ અનામિકા કોલેજ જવા માટે ઉંઝા ડેપોમાં ઉભી હતી ત્યાં તેની નજર થોડે દુર ઉભા રહેલા શાશ્વત પર પડી. પોતાનો બસ પાસ કાઢી આપ્યો તે દિવસ પછી અનામિકાએ આજે જ શાશ્વતને ફરી જોયો હતો. તેણે યાદ આવ્યું કે આ વ્યક્તિને પાસની ફીના પૈસા આપવાના પણ બાકી છે. તે જ્યાં શાશ્વત ઉભો હતો ત્યાં તેની પાસે ગઈ અને કહ્યું, “માફ કરજો પેલા દિવસે હું તમને મારા પાસની ફીના પૈસા આપવાનું ભૂલી ગઈ હતી.” એમ કહી તેણે પોતાના પર્સમાંથી પૈસા કાઢીને શાશ્વતને આપ્યા. શાશ્વતે તે લેવાની ના પાડી. અનામિકાને નવી લાગી. તેણે કહ્યું, “હું કોઈનું ઋણ રાખતી નથી તમે પ્લીઝ આ પૈસા લઇ લો.” શાશ્વત કહ્યું, “ઋણ ઉતારવાનો બીજો પણ એક રસ્તો છે, મારી સાથેએક કપ  કોફી પીને.”. અનામિકાને અજુગતું તો લાગ્યું પણ શાશ્વતની નજરમાં તેને ક્યાય દગો કે બીજો કોઈ ખરાબ ભાવ દેખાયો નહી. તેણે શાશ્વતની નજરમાં મિત્રતાની દરખાસ્ત દેખાઈ તેથી તે શાશ્વત સાથે કોફી પીવા તૈયાર થઇ. કોફી પીતાં પીતાં શાશ્વતે મહેસાણાથી ઊંઝા સુધી અનામિકા સાથે કરેલી સફરની યાદ તાજી કરાવી. ગાડીમાં અનાયાસે થયેલી સામાન્ય  મુલાકાતથી જ શાશ્વતે પોતાને આટલી હેલ્પ કરી એ જોઈને તે શાશ્વતના વ્યક્તિત્વથી પ્રભાવિત થઇ. પછી તો તો કોફીના સથવારે શરુ થયેલી તેમની મિત્રતા જામતી ગઈ. હવે સાથે કોફી પીવી તે તેમનો રોજનો ક્રમ બની ગયો. કહેવાય છે કે મિત્રતા એ પ્રણયનું બાળપણ છે. અને તે વાત અનામિકા અને શાશ્વત માટે પણ સાચી પડી. કોફીને સથવારે શરુ થયેલી તેમની મિત્રતા ક્યારે પ્રણયમાં ફેરવાઈ ગઈ તે બન્નેને ખબર જ ન પડી.

            પણ જેમ બાગમા ફૂલના જેટલા બીજ વવાય છે તે બધા જ છોડ ખીલતા નથી તેમ જ દુનિયામાં જેટલા પ્રેમ અંકુરણો પાંગરે છે તે બધા પૂર્ણતા પામતા નથી. કઠપુતળીના ખેલમાં જેમ પાત્રોની દોર બીજાના હાથમાં હોય છે તેમ જ આ દુનિયા રૂપી રંગમંચ પર જીવતા માણસોની દોર ઉપરવાળો પોતાના હાથમાં રાખે છે. ધીમે ધીમે સમય પસાર થતો રહ્યો. શાશ્વત અને અનામિકા એક બીજા સાથે લગ્ન કરીને જીવનભર સાથે રહેવાના સપના જોવા લાગ્યા. પણ જેમ આંખ ખુલતા સપનું તૂટી જાય છે, તેમ જ સમયની થપાટ પણ ક્યારે માણસના સપના તોડી નાખે તે ખબર પડતી નથી. એક દિવસ અનામિકા કોલેજ જવા માટે તૈયાર થઇ રહી હતી, પણ તે શણગાર તો શાશ્વતને મળવા માટે જ સજી રહી હતી. ત્યાજ તેની મ્મીએ તેને કહ્યું, “અનામિકા બેટા, આજે તારે કોલેજમાં રજા રાખવી પડશે.” અનામિકાને આ સાંભળી નવાઈ લાગી. “કેમ મમ્મી ?” તેણે પૂછ્યું. તેની મમ્મીએ જવાબ આપ્યો “બેટા આજે તારા મામા તને જોવા માટે છોકરાવાળાને લઈને આવવાના છે”. આ સંભાળીને અનામિકાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તે કશું બોલી શકી નહી. તે દિવસે તેનું કોલેજ જવાનું કેન્સલ થયું. આ બાજુ શાશ્વત રોજની જેમ બસ ડેપોમાં તેની રાહ જોતો બેસી રહ્યો. પણ અનામિકા આવી નહિ.તે સમયે આજની જેમ મોબાઈલ ફોનની સગવડ ન હતી. આ બાજુ છોકરાવાળા અનામિકાને જોઈને ગયા. અનામિકા પોતાના માં-બાપની આબરુ ખાતર અને પોતાના સંસ્કારને લીધે એ વખતે ચુપ રહી પણ જયારે છોકરાવાળા ગયા ત્યાર પછી તેણે પોતાની મમ્મીને પોતાની પાસે બેસાડી શાશ્વત અને પોતાના પ્રેમ સબંધ વિષે બધી વાત કરી. આ સાંભળી તેના મમ્મી સ્તબ્ધ રહી ગયા. તેમણે અનામિકાને જવાબમાં માત્ર એટલું જ કહ્યું, “બેટા અમારા માટે દીકરો કે દીકરી જે ગણો તે તું એક જ છે અને અમારી આબરુ પણ તારા જ હાથમાં છે. બીજું મારે કશું કહેવું નથી.” પોતાની મમ્મીની આટલી વાતથી જ અનામિકાને સમજાઈ ગયું કે તે શું કહેવા માંગતા હતા.

            તે આખી રાત અનામિકાને ઊંઘ ના આવી તેણે પોતાની અત્યાર સુધીના જીવન પર નજર નાખી, કેવી રીતે તેના મા-બાપે તેને દીકરાની જેમ લાડ-કોડથી ઉછેરી હતી. પોતાના લાડ-કોડમાં ભાગ ન પડે એ માટે થઈને પોતે દીકરી હોવા છતાં તેના માં-બાપે બીજું સંતાન ઈચ્છયું ન હતું. બાળપણથી લઈને આજ સુધી તેના માં-બાપે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી હતી. હવે આજે તેનો વારો હતો. પોતાના માટે આખું જીવન કુરબાન કરનાર મા-બાપ માટે આજે પોતાનો પ્રેમ કુરબાન કરવાનો. તેણે ખુબ વિચાર કર્યો. આજે તેને જોવા માટે જે છોકરાવાળા આવ્યા હતા તેમનું સગું અનામિકાના મામા લઈને આવ્યા હતા. જો અનામિકા ના પડે તો પોતાના મમ્મી-પપ્પા અને મામાના સબંધોમાં તિરાડ પડે તેવું હતું. બીજી બાજુ શાશ્વત વિનાની જિંદગીની કલ્પના તેને હ્ચ-મચાવી મુકતી હતી. પોતાનો પ્રેમ અને માં-બાપની આબરુ વચ્ચેના આ બે પદ વચ્ચે અનામિકા પીસાતી જતી હતી. ખુબ વિચારને અંતે તેણે એક નિર્ણય લીધો અને એ નિર્ણય લેતાની સાથે જ તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેણે પોતાની અંદરની અનામિકાને મારી નાખી. અને તેની સાથે જ એ અનામિકાના સપના પણ મરી ગયા.

               બીજા દિવસે તે કોલેજ જવા નીકળી ત્યાં તેની મુલાકાત બસ ડેપોમાં શાશ્વત સાથે થઇ. તીર્થ પણ તેની સાથે હતો. શાશ્વત કંઈ બોલ્યો નહી. પણ તીર્થે જ વાત શરુ કરી. અનામિકા કાલે કેમ ન આવ્યા. તમારી રાહ જોવામાં શાશ્વત કાલનો અહી જ બેઠો છે. રાતે ઘરે પણ નથી ગયો. આ સંભાળીને અનામિકાની આંખોમાં સાગર છલકાઈ આવ્યો. તે તેમના નિત્યક્રમ મુજબ કોફી શોપમાં જઈને બેઠી. શાશ્વત તેને જોઈ રહ્યો. આજે અનામિકા તેને રોજ કરતા કંઇક જુદી જ લગતી હતી. તે પણ તેની પાસે જઈને બેઠો. થોડીવાર એમ જ શાંતિ પ્રસરાઈ રહી. પછી શાશ્વતે શરૂઆત કરી, “શું વાત છે, અનામિકા તું આમ ચુપ કેમ છે ?” જવાબમાં અનામિકા ધ્રુસકેથી રડી પડી. અને પોતાના ઘરની આખી વાત તેણે કહી સંભળાવી. આ સાંભળી શાશ્વતના માથે જાણે વીજળી પડી. મધદરિયે આવેલી તેની પ્રેમ નૈયા જાણે તોફાનમાં ડૂબી રહી હોય તેમ તેને લાગ્યું. પછી તેણે પૂછ્યું, “તો પછી તે શું નિર્ણય લીધો અનામિકા ?” “શાશ્વત હું તને ખુબ જ પ્રેમ કરું છું. તારા વગરના મારા જીવનની કલ્પના પણ હું કરી શકું તેમ નથી. પણ હું મજબુર છું. આજ સુધી માં-બાપના ચઢેલા ઉપકારનો બદલો વાળવાનો સમય આવ્યો છે. અને તેના માટે મારે મારા પ્રેમની કુરબાની આપવાનો સમય આવ્યો છે. હુ તારી ગુનેગાર છું. તું કહે તે સજા ભોગવવા હું તૈયાર છું. પણ તું પ્લીઝ મને માફ કરી દેજે. અને એક વચન આપ કે ક્યારેય કોઈ ખોટું પગલું નહી ભરે. એટલું યાદ રાખજે હું ભલે તારાથી દુર છું. પણ મારો જીવ તારા જીવમાં છે. જ્યાં સુધી શાશ્વત જીવશે ત્યાં સુધી અનામિકા પણ જીવશે, જે દિવસે શાશ્વતને કશું થઇ ગયું તે દિવસે અનામિકા પણ……” કહેતા આંખોમાંથી આંસુઓનો વરસાદ વરસાવતી તે ત્યાંથી ચાલી ગઈ. તે પછી તે ક્યારેય શાશ્વતને મળી નહી. ત્યાર પછી તેણે કોલેજ જવાનું પણ બંધ કરી દીધું.

                  શાશ્વત તો રોજ પોતાના નિત્યક્રમ મુજબ ઊંઝાના બસ ડેપોમાં આવીને અનામિકાની રાહ જોતો. પણ દિવસ પછી અનામિકા ક્યારેય આવી જ નહી. પણ હા થોડા દિવસો પછી એક દિવસ અનામિકાની સહેલી શાશ્વત પાસે આવી. તેના હાથમાં એક કંકોતરી હતી. જે શાશ્વત માટે જ અનામિકાએ મોકલાવી હતી. તે ઈચ્છતી હતી કે શાશ્વત પણ તેના લગ્નમાં આવે. શાશ્વતની નજર કંકોતરીના  કવર પર પડી. કવર પર  દોરેલા દિલમાં લખ્યું હતું, “અનામિકા સંગ ……..” બીજું નામ શાશ્વતના હોઠ પર જ રહી ગયું. તે નામ શાશ્વતનું ન હતું. ત્યાર પછી અનામિકાના કોઈ સમાચાર નથી. પણ શાશ્વત તો આજે પણ ઊંઝાના ડેપોમાં તેની રાહ જોતો બેઠો છે. તે અનામિકાને જાણે છે અને અનામિકાના સંસ્કારને પણ જાણે છે. તે એ પણ જાણે છે કે કે તેની અનામિકા ક્યારેય આવવાની નથી તેમ છતાં ખબર નહિ તે કોની રાહ જોઈને ત્યાં બેઠો છો.

દસ વરસ પછી………….

           શાશ્વત આજે જીવી રહ્યો છે. જો એને જિંદગી કહી શકાતી હોય તો એ જીવતો છે. અત્યારે એ અમેરિકામાં છે. જયારે તેણે જાણ્યું કે અનામિકા પરણીને અમેરિકામાં રહે છે, ત્યારથી શાશ્વત પણ   એન્જિનિયર થઇને શિકાગોમાં જ સેટલ થયો છે. અનામિકાને મળવા માટે નહી. પણ તેને એહસાસ કરાવવા કે તું ચિંતા ના કરતી તારો શાશ્વત જીવે છે. ચોત્રીસ વર્ષની ઉંમરે પણ અપરિણીત છે. ધૂમ કમાય છે, શાંતિથી જીવે છે, એનાં મમ્મી-પપ્પા મથી-મથીને મરી ગયાં, “‘બેટા, લગ્ન કરી લે. તું આપણા ખાનદાનનો એક માત્ર દીકરો છે. વંશવેલો…” ત્યારે તે જવાબ આપે છે, “‘વંશવેલાની વાત ભૂલી જાવ, પપ્પા, તમારો વંશવેલો તો બહેન દ્વારા પણ ચાલુ રહેશે. દીકરા-દીકરીનો ભેદ હવે ક્યાં રહ્યો છે? અને મેં તો લગ્ન કરી જ લીધાં છે. ભલે મનોમન, પણ હું તો વર્ષો પહેલાં અનામિકા નામની સુંદર છોકરીને પરણી ચૂક્યો છું.”

 

 

 

(સત્ય ઘટના. પાત્રોના નામ અને સ્થળ બદલેલ છે.)

 

(કથાબીજ : દિયોદરના  એક સહકાર્યકર મિત્ર પાસેથી નામ ન આપવાની શરતે મળ્યું છે.)

 

                 (મારી લખેલી અનેક વાર્તાઓ પૈકી આ મને વધુ ગમતી એક વાર્તા છે. શાશ્વતથી છૂટી પડેલી અનામિકાની

     મનોદશા વ્યક્ત કરવા મારી પાસે કોઈ શબ્દો નથી. માટેનિ:શબ્દ એ શીર્ષક અનામિકાની  મનોદશાનું સુચક છે.

 કોઈ વાચક તેને બેવફા ન સમજે એટલા માટે આ લખું છું.)

 

 

= શ્રીપતિ.

 

 

 

!! ડોક્ટરની સારવાર !! = “શ્રીપતિ”

Image

!! ડોક્ટરની સારવાર (કન્યાદાન)  !!

= “શ્રીપતિ

 

 “ટ્રીન….ટ્રીન….ટ્રીન…..” ફોનની ઘંટડી રણકી.

“હેલ્લો…….”

“હેલ્લો સર હુ હોસ્પિટલમાંથી મિત્તલ બોલું છું.”

“ હા બોલો સિસ્ટર શું વાત છે….?”

“ સર એક ઇમરજન્સી કેસ છે….., પેશન્ટે ઝેરી દવા પી લીધી છે.”

“તમે તેને ટ્રીટમેન્ટમાં લેવાની તૈયારી કરો, હુ હમણા જ પહોચું છું.”

“ઓ.કે. સર.”

               રાતના સાડા અગિયાર વાગ્યા હતા. અમદાવાદની એક હોસ્પિટલમાં ડૉ.મહેતા હજી અગિયાર વાગે જ હોસ્પિટલથી થાક્યા પાક્યા ઘરે આવ્યા હતા. બસ જમીને સુવાનો વિચાર કરતા હતા અને ટેલીફોન રણક્યો. ફોન તેમની હોસ્પીટલમાંથી જ હતો. સામે છેડે તેમની નર્સ મિત્તલ વાત કરતી હતી. અર્જન્ટ કેસ હોવાથી ડૉ.મહેતાને તાત્કાલિક  હોસ્પિટલ જવા માટે નીકળવું પડ્યું. આમ પણ ૧૦૦, ૧૦૧, ૧૦૨ અને ૧૦૮ વાળાને સમયનું કંઈ નક્કી નહી ગમે ત્યારે દોડવું પડે.

               ડૉ.મહેતા હોસ્પિટલ પહોંચ્યા. પેશન્ટ તેવીસ વરસનો યુવાન હતો. તેની સાથે તેના માતા-પિતાં પણ હતા. ડૉ.મહેતાએ પેશન્ટને સારવારમાં લીધો. તેણે પીધેલું ઝેર હોજરીમાં વ્યાપી ગયું હતું. ઓપરેશન કરીને ચેકો મુકીને ઝેર બહાર કાઢવું પડે તેમ હતું. ડૉ.મહેતાએ યુંવાનના માતા-પિતાની કેટલીક સહીઓ લીધી અને ઓપરેશન શરુ કર્યું. ઓપરેશન થીયેટરની બહાર યુવાનના માતા-પિતાં રડતે મુખે પોતાના એકના એક દીકરાને બચાવી લેવા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા.

               બે કલાક બાદ ઓપરેશન પૂરું થયું. ડોક્ટર બહાર આવ્યા. યુવાનના માતા-પિતાં ડોક્ટરને મળવા દોડી ગયા. ડોક્ટરે તેમને આશ્વાસન આપતા કહ્યું, “ચિંતા કરવાની જરૂર નથી, તમારા દીકરાને હવે કોઈ જોખમ નથી. એકાદ કલાકમાં તેને ભાન આવી જશે. પછી તમે તેને મળી શકશો.” ડૉ.મહેતાએ નર્સ મિત્તલને બોલાવી કેટલીક સૂચનાઓ આપી અને પોતાના ઘરે જવા નીકળી ગયા.

               ડોક્ટરના ગયા પછી તે યુવાનની માતા યુવાનના પિતાં સાથે ઝઘડવા લાગી, “તમે જ મારા દીકરાના જીવના દુશ્મન બની બેઠા છો. તમારી જિદ્દને કરને મારે મારો દીકરો ગુમાવવાનો વારો આવશે.” રાતનો એક વાગ્યો હતો. તે બંનેના ઝઘડાથી હોસ્પિટલના બીજા દર્દીઓ ડિસ્ટર્બ થતા હતા. એટલે નર્સે આવીને તે બંનેને શાંત રહેવા કહ્યું. બંને શાંત થયા અને પોતાના દીકરાની ભાનમાં આવવાની રાહ જોવા લાગ્યા.

               બે કલાક જેટલો સમય પસાર થયો. યુવાનનું શરીર હવે સળવળવા લાગ્યું. તે ધીમે ધીમે ભાનમાં આવી રહ્યો હતો. પણ ભાનમાં આવતા જ પોતાની નજર સામે પોતાના પિતાને જોતા તેણે તોફાન કરવાનું શરુ કરી દીધું. “મારે નથી જીવવું….., મને મારી જવા દો…., હુ તેના વગર નહી જીવી શકુ….., હુ નિકીતા વગર નહી જીવી શકુ….” તેમ બુમો પાડીને ધામ પછડા કરવા લાગ્યો. આ ધમાલમાં તેના તાજા ઓપરેશનના બે –ત્રણ ટાંકા પણ તૂટી ગયા અને લોહી વહેવા લાગ્યું. નર્સે આવીને તે યુવાનના માતા-પિતાને તેના રૂમમાંથી બહાર મોકલ્યા અને ફરી ડૉ.મહેતાને ફોન કરીને બધી હકીકત જણાવી. હજી તો માંડ ઊંઘના પહેલા પહોરમાં પહોચેલા ડૉ.મહેતાને ફરી મારતી ગાડીએ હોસ્પિટલ પાછા આવવું પડ્યું. ડોક્ટર આવ્યા ત્યારે પણ તે યુવાનનો બબડાટ અને તોફાન હજી ચાલુ જ હતું. તે યુવાનના મોઢે નિકીતાનું નામ સંભાળીને ડૉ.મહેતા ચમક્યા ! ખબર નહી આ નિકીતા નામ સાથે ડૉ.મહેતાને શી નિસ્બત હતી. તેમણે તે યુવાનને ઘેનનું ઇન્જેક્શન આપીને શાંત કર્યો અને તેના તૂટેલા ટાંકા ફરી વ્યવસ્થિત કર્યા. બાદમાં નર્સે બધી જ હકીકત ડૉ.મહેતાને કહી સંભળાવી. વરસોના અનુભવી ડૉ. મહેતાને સમજવામાં વાર ના લાગી કે આ પ્રેમ પ્રકરણનો મામલો હતો. તેમણે યુવાનના માતા-પિતાને પોતાની કેબીનમાં બોલાવ્યા અને સઘળી હકીકત પૂછી. યુવાનની માતાએ યુવાનના પિતાં તરફ એક નજર નાખી અને પછી ડૉ.મહેતા સામે જોઈને વાત શરુ કરી.

          “ડોક્ટર સાહેબ મારો દીકરો નિખીલ ગુજરાત કોલેજમાં એમ.એસ.સી.ના બીજા વરસમાં અભ્યાસ કરે છે. ત્યા તેની સાથે જ અભ્યાસ કરતી અમારા સમાજની જ એક નિકીતા નામની છોકરી સાથે તેનું મન મળી ગયું છે. એક દિવસ નિખીલે ઘરે અમને તે નીકીતાનો ફોટો બતાવ્યો અને તેની સાથે પોતાની સગાઈ કરવાની વિનંતી કરી. મને કોઈ વાંધો હતો, પણ તેના પિતાને આ વાત ન ગમી. તેમણે નિખીલને ધમકાવ્યો અને ફરી ક્યારેય એ છોકરીનું નામ ન લેવા કહ્યું. પણ નિખીલે નિકીતાને મળવાનું ચાલુ રાખ્યું. એકવાર તેના પિતાં તેની કોલેજ પાસેથી નીકળ્યા ત્યારે ગુજરાત દાળવડા પર નિખીલને નિકીતા અને તેના મિત્રો સાથે નાસ્તો કરતા જોઈ લીધા. તેમણે ત્યા જઈને નિકીતાને ધમકાવી અને નિખીલને પણ બધાની વચ્ચે જ લાફો માર્યો અને ઘરે લઇ આવ્યા. નિખીલને તેના પિતાએ તેના દોસ્તોની હાજરીમાં લાફો માર્યો તે વાતનું બહુ જ ખોટું લાગ્યું. ઘરે આવીને પણ તે બે જણ વચ્ચે ઝઘડો ચાલુ જ રહ્યો. નિખીલ રીસાઈ ગયો. એ આખો દિવસ તે કોઈનાથી કશું જ બોલ્યો નહી અને રાતે પણ જમ્યા વગર જ સુઈ ગયો. રાતે અગિયાર વાગે અચાનક કંઇક અવાજ થતા મારી આંખ ઉઘડી. મે જોયું તો નિખીલ તેની પથારીમાં ન હતો. મને ફળ પડી. મે ઘરમાં જોયું તો રસોડાની લાઈટ ચાલુ હતી. હુ દોડીને ઘરમાં ગઈ. જઈને જોયું તો નિખીલ રસોડામાં લાંબો થઈને પડ્યો હતો. તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેની બાજુમાં જ ઉંદર મારવાની દવાની બોટલ પડી હતી. તેણે દવા પી લીધી હતી. અમે તેને અહી તમારી પાસે લઇ આવ્યા. પછી તો તમે બધું જાણો જ છો સાહેબ.” કહેતા નિખીલના મમ્મી રડી પડ્યા.

               ડોક્ટર મહેતા એ નિખીલના પિતાં તરફ નજર કરી અને બોલ્યા, “આ રીતે તો તમે તમારા દીકરાનો જીવ ગુમાવી બેસશો. સંતાનની ખુશીથી વધારે મા-બાપને બીજું શું જોઈએ.” નિખીલના પિતાએ કહ્યું, “ડોક્ટર સાહેબ મને મારી ભૂલ સમજાય છે. તમે ગમે તે કરીને અમારા નિખીલને બચાવી લો. પાછી હુ તેને જે ગમશે તેમ જ કરીશ.” ડોક્ટરે તે બંનેને હિંમત આપી. ત્યાંથી નીકળી ડૉ.મહેતા નિખીલના રૂમમાં આવ્યા. તે થોડીવાર બેભાન નિખીલ સામે જોઈ રહ્યા અને પછી મનમાં જરાક હસ્યા. તેમના એ આનંદ પાછળનું કારણ કોઈને સમજાયું નહી. ખબર નહી તેમણે મનમાં શું વિચાર કર્યો.

               બીજા દિવસે સવારે નિખીલ ભાનમાં આવવા લાગ્યો. ડૉ.મહેતાએ તેના મા-બાપને રૂમની બહાર મોકલી દીધા. નિખીલ સંપૂર્ણ ભાનમાં આવ્યો કે તરત જ પહેલાની જેમ તોફાન કરવા લાગ્યો. એ જ ગુસ્સો અને એ જ રાડો, “મને મારી જવા દો…., હુ તેના વગર નહી જીવું….,” ત્યા જ ડૉ.મહેતા નિખિલની પાસે ગયા અને કહેવા લાગ્યા, “કોની વગર નહી જીવાય ? નિકીતા વગર ?” એક અજાણ્યા ડોક્ટરના મોઢે પોતાની નીકીતાનું નામ સંભાળીને નીખીલને નવાઈ લાગી. તે આશ્ચર્યથી ડૉ.મહેતા તરફ જોવા લાગ્યો. ડૉ.મહેતાએ હળવું સ્મિત આપ્યું અને કહ્યું, “નિકીતા વગર ના જીવી શકાય પણ નિકીતાની સાથે તો જીવી શકાયને ! તને તારી નિકીતા મેળવી આપું તો !” ડોક્ટરની વાતોથી નિખીલ શાંત થયો. ડૉ.મહેતા તેને પોતાના સ્નેહીજન જેવા લાગવા લાગ્યા. ડૉ.મહેતાએ નિખીલને આશ્વાસન આપ્યું અને આરામ કરવા કહ્યું.

                ડોક્ટર મહેતાએ મનમાં ઊંડો વિચાર કર્યો અને પછી નિખીલના રૂમમાંથી બહાર આવીને તેના માતા-પિતાને મળ્યા. “તમારો નિખીલ શરીરે એકદમ સ્વસ્થ છે. પણ તેને માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે અને તેના ગુસ્સાને શાંત કરવા માટે આપણે એક મનોવિશ્લેષક ડોક્ટરને થોડા દિવસ અહી બોલાવવા પડશે. અને જ્યાં સુધી નિખીલ એકદમ ઠીક ન થાય ત્યા સુધી તમે લોકો તેની સામે નહી આવો. “ આ સાંભળી નિખિલની મમ્મી તો રડવા લાગ્યા. ડોક્ટરે તેમને શાંત કર્યા અને ધીરજ રાખવા કહ્યું.

                  બીજા દિવસથી ડૉ.મહેતાના દવાખાને એક મહિલા મનોવિશ્લેષક ડૉ.અનિતા ત્રિવેદી નિખિલની સારવાર માટે આવવા લાગ્યા. તે જયારે આવતા ત્યારે હોસ્પિટલના લોકો તેમને જોતા જ રહી જતા. તમની સાડા પાંચ હાથની કયા અને અડતા જ મેળો થાય તેવો શ્વેત રંગ હતો. લાઈટ બ્લૂ કલરની સાડી અને તેની ઉપર ડોક્ટર પહેરે છે તેવો સફેદ શર્ટ પહેર્યો હતો. હાથમાં સ્ટેથોસ્કોપ, આંખો પર કાળા ગોગલ્સ, અને ચહેરા પર ડોક્ટર બાંધે છે તેવું માસ્ક બાંધેલું હતું. તેમનો ચહેરો તો દેખાતો ન હતો, છતાં તેમનું રૂપ છાનું રહેતું ન હતું. તે રાજધાની એક્સપ્રેસની ઝડપે પોતાની ગાડીમાંથી ઉતરી સીધા જ નિખીલના રૂમમાં જતા. તે આવતા એટલે ડૉ.મહેતા બાકીના બધા લોકોને નિખીલના રૂમમાંથી બહાર મોકલી દેતા. ડૉ.અનિતા ત્રિવેદી એકલા જ નિખીલને મળતા. ડૉ.અનિતાની સારવાર રંગ લાવટી ગઈ. ગુસ્સામાં રાતા-પીળા રહેતા નિખીલનો ચહેરો ખુશીથી ખીલવા લાગ્યો. સારવાર પૂરી કરીને ડૉ.અનિતા જે ગતિથી આવતા  હતા તે જ ગતિથી પાછા ચાલ્યા જતા. નિખિલનું વર્તન બદલાવા લાગ્યું. પોતાના માતા-પિતાથી નારાજ નીખિલ સામેથી હસતા મોએ પોતાના માં-બાપને મળ્યો. તેમની ખુશીનો પણ પાર ના રહ્યો. આ સારવાર આ જ રીતે એક અઠવાડિયા સુધી ચાલી. નિખીલ ખુશ ખુશ રહેવા લાગ્યો.

                આખરે નિખીલને હોસ્પીટલમાંથી રજા આપવાનો દિવસ આવ્યો. ડૉ.મહેતાએ નિખીલના માતા-પિતાને કેબીનમાં બોલાવ્યા. નિખીલના માતા-પિતાએ ડૉ.મહેતાનો આભાર માન્યો. ડૉ.મહેતાએ કહ્યું, “આભાર મારો નહી ડૉ.અનિતાનો માનો તેમણે જ તમારા નિખીલને સાજો કર્યો છે.” નિખીલના પિતાએ કહ્યું, “તમારી વાત સાચી છે ડોક્ટર સાહેબ. અમારે તેમનો પણ આભાર માનવાનો છે અને તેમની ફી પણ આપવાની છે.” ડૉ.મહેતાએ કહ્યું, “તો લો તમે જાતે જ ડૉ.અનિતાને ફી પણ આપી ડૉ અને તેનો આભાર પણ માની લો” તેમ કહી ડૉ.મહેતાએ બેલ માર્યો અને ડૉ.અનિતા કેબીનમાં આવ્યા. પણ આ શું ! રોજ રાજધાની એક્સપ્રેસની ઝડપે આવતા ડૉ.અનિતાની ચાલ આજે સાવ બદલાઈ જ ગઈ હતી. તે કેબીનમાં આવ્યા. આજે તમને ચેહેરા પર ન હતુ માસ્ક કે ન હતા કાળા ગોગલ્સ. તેમને જોતા જ નિખીલના પિતાં ચમકી ગયા, “નિકીતા…” હા તે ડૉ.અનિતા બીજું કોઈ નહી પણ નિખિલની નિકીતા જ હતી. નિખીલના પિતાની નવાઈનો પર ના રહ્યો. તેમણે પ્રશ્નભરી નજરે ડૉ.મહેતા સામે જોયું. ડૉ.મહેતાએ સ્મિત સાથે કહ્યું, “હા નિકીતા. અને આ નિકીતા જ તમારા નિખિલની ડોક્ટર છે અને દવા પણ. તેને તમારે ઘરે લઇ જાઓ. તમારો નિખીલને આમ જ હમેશા ખુશ રાખશે. અને તેની ફી છે તેનો અને નિખીલનો જીવનભરનો સાથ.”

                નિખીલના પિતાં આખી વાત સમજી ગયા. પોતાના દીકરાને સાજો કરવા અને તેની ખુશ માટે  ડૉ.મહેતાએ જ આ આખુ આયોજન કર્યું હતું. નિખીલના પિતાએ ડૉ.મહેતાનો આભાર માન્યો અને નિકીતાને પોતાના ગળે લગાડી પોતાની ભૂલ બદલ માફી માગી. ત્યાં જ વળી એક નવાઈભરી ઘટના બની. નિકીતા ડૉ.મહેતાના ગળે વળગી પડી અને કહેવા લાગી, “થેન્ક્યુ પપ્પા.” આ સંભાળીને નિખીલના માતા-પિતાની નવાઈનો પાર ના રહ્યો. ‘નિકીતાએ ડૉ.મહેતાને પપ્પા કેમ કહ્યા !’ તેમણે પ્રશ્ભારી નજરે ડૉ.મહેતા સામે જોયું.

                ડૉ.મહેતાએ સ્મિત સાથે કહ્યું, “હા નિકીતા મારી જ દીકરી છે. તેણે થોડા દિવસ પહેલા જ મને નિખીલ વિશે વાત કરી હતી. તે મને નિખીલ સાથે મળાવવાની હતી, પણ હોસ્પિટલની દોડધામમાં મને સમય જ ન મળ્યો. કદાચ નિખીલ સાથે મારી મુલાકાત અહી જ લખાઈ હતી.  જે દિવસે મે નિખીલના મોઢે નીકીતાનું નામ સાંભળ્યું ત્યારે મને નવાઈ લાગી. પાછળથી જયારે તમારી સાથે વાત થઇ ત્યારે મને સમજાયું કે નિકીતા મને જે નિખીલ જોડે મળાવવાની હતી તે આ જ નિખીલ છે. મને ખુબ આનંદ થયો કે મારી દીકરીને આટલો પ્રેમ કરનાર જીવનસાથી મળશે. મે ઘરે જઈને નિકીતાને આખી હકીકત સમજાવી અને અમે આ આખું આયોજન કર્યું.

               નિખીલના પિતા ડૉ.મહેતા આગળ ઢીલા પડી ગયા , “ડોક્ટર સાહેબ મે તમારી દીકરી પર હાથ ઉપાડ્યો છતાં પણ તમે મન મોટું રાખીને મારા દીકરાની ખુશીનો જ વિચાર કર્યો. જયારે હુ નિખીલનો બાપ થઈને પણ તેને સમજી ન શક્યો.” તેમણે નિકીતાને કહ્યું, નિકીતા બેટા, મને માફ કરી દે.” પછી નીકીતાના પિતા અને નિખીલના પિતા એકબીજાને ભેટી પડ્યા. આખી હોસ્પિટલમાં નવાઈ સાથે આનંદ છવાઈ ગયો. થોડા દિવસ પછી જ નિકીતા અને નિખિલની ધામ-ધુમથી સગાઈ થઇ અને લગ્ન પણ. નિખિલનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું.

 

=”શ્રીપતિ”

= વિષ્ણુ દેસાઈ.

 

                        

!! જન્મ કુંડળી !! = “શ્રીપતિ”

Image

જન્મકુંડળી

= “શ્રીપતિ          

 અમદાવાદની મથુરા નગર સોસાયટીમાં આજે ખુશીનું વાતાવરણ હતું. તેની પાછળ બે કારણ હતા. એક કે બંગલા નંબર ૧૩ મા રહેતા મુલચંદભાઈની દીકરી કુંદન કે જે ઘરેથી રિસાઈને ચાલી ગઈ હતી તે એક મહિના પહેલા જ પાછી ફરી હતી અને આજે પ્રકાશ નામના છોકરા સથે તેના લગ્ન થઇ રહ્યા હતા. બીજું ખુશીનું કારણ એ હતું કે બંગલા નંબર ૧૯ માં રહેતા વિકાસભાઈના ઘરે આજે લગ્ન જીવનના બાર વરસ પછી ઘરે ઘોડિયું બંધાયું હતું. તેમના પુત્રના જન્મની પ્રથમ માસિક તિથીએ તેમણે સોસાયટીના સભ્યો માટે રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું. બપોરે કુંદનને વિદાય આપી સોસાયટીના લોકો સાંજે વિકાસભાઈને ત્યાં પાર્ટીમાં ભેગા થયા. લોકો એ ખુબ મિજબાની કરી. વરસોથી ની:સંતાન માં-બાપના ઘરે તે દીકરો લાડ-કોડથી ઉછરવા લાગ્યો.

* * * * * * * * * * * * * * * * * વીસ વરસ પછી. * * * * * * ** * * * * * *

                  પ્રજ્ઞા અને સુમિત આમ તો કોલેજના પ્રથમ વરસથી સાથે જ ભણતા હતા. પણ આજ સુધી એક બીજાના પરિચયમાં આવવાનું બન્યું ન હતું. પરંતુ આ વખતે ત્રીજા વરસની કોલેજની પરીક્ષામાં જોડે જોડે નંબર આવતા બંને જણ એક બીજાના પરિચયમાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ તેમ પરીક્ષા શરું થયા પહેલાનો સમય સામાન્ય રીતે બધા  માટે ડર જતાડનાર હોય છે. આવું જ પ્રજ્ઞાની બાબતમાં પણ હતું. તે પેપર શરું થવાના પહેલા થોડી ગભરાયેલી હતી. તે બે હાથ જોડીને આંખો બંધ કરીને ભગવાનને પોતાનું પેપર સારું જાય તે માટે પ્રાર્થના કરી રહી હતી. આ જોઈને સુમિત મનમાં હસી રહ્યો હતો. પ્રજ્ઞાની પ્રાર્થના પૂરી થતાં સુમિતે તેની સાથે વાત-ચિત્ શરું કરી.  “ગઈ કાલનું પેપર કેવું ગયું ?  ગઈ કાલે તો પેપર સરસ ગયું, પણ આજે થોડી ચીન્તાછે. પ્રજ્ઞાએ જવાબ આપ્યો. સુમિતે કહ્યું, ચિંતા ના કરો આજનું પેપર પણ સરસ જ જશે, બેસ્ટ ઓફ લક. થેંક યુ. પ્રજ્ઞા એ કહ્યું.  થોડીવાર થઈને પેપર શરું થવાનો ઘંટ વાગ્યો. બધાની સાથે સુમિત અને પ્રજ્ઞા પણ પેપર લખવામાં મશગુલ થઈ ગયા. ત્રણ કલાકનો સમય પુરો થયો ને ફરી પેપર પૂરું થવાનો ઘંટ વાગ્યો. બધા ક્લાસ છોડીને પોતાના ઘરે જવા નીકળ્યા. ત્યાં કેમ્પસમાં વળી પાછી સુમિત અને પ્રજ્ઞાની મુલાકાત થઈ. પ્રજ્ઞાએ સુમિતને કહ્યું, તમારું બેસ્ટ ઓફ લક કામ કરી ગયું, મારું પેપર ધાર્યા કરતા ઘણું જ સારું ગયું.  થેન્ક્સ અગેન.  યુ આર વેલકમ સુમિતે સ્મિત સાથે પ્રજ્ઞાના થેન્ક્સનો સ્વીકાર કર્યો.

                    આમ પરીક્ષા દરમ્યાનની આ સામાન્ય વાતચીત બંને જણ વચ્ચે પરિચયનું માધ્યમ બની. બીજા પેપરથી શરું થયેલો ‘ઓલ ધ બેસ્ટ’ અને થેંક યુ’ નો  આ સીલસીલો આખી પરીક્ષા સુધી જળવાઈ રહ્યો. રોજ પેપર પૂરું થયા પછી સુમિત અને પ્રજ્ઞા કેમ્પસમાં મળીને આજે પેપર કેવું હતું તેની ચર્ચા કરતા. આજે છેલ્લું પેપર હતું. રોજ પેપર શરું થતા પહેલા બેચેન બનવાનું પ્રજ્ઞાનું કામ આજે સુમિત કરી રહ્યો હતો. પણ તેની બેચેનીનું કારણ પરીક્ષા નહી પણ પરીક્ષા પૂરી થયા પછી થનારી પ્રજ્ઞાની જુદાઈ હતી. પરીક્ષાના આ દસ દિવસ દરમ્યાન પ્રજ્ઞાએ સુમિત પર જાણે કે જાદુ કર્યો હતો. આજે પરીક્ષા પૂરી થશે અને કાલથી પ્રજ્ઞા સાથેની મુલાકાત અને વાતચીત પણ બંધ થશે એ વાત સુમિતને બેચેન બનાવતી હતી. અંતે છેલ્લું પેપર પણ પૂરું થયું અને છુટા પડવાનો સમય આવ્યો. સુમિતે હિંમત કરીને પ્રજ્ઞાને છુટા પડતાં પહેલા પોતાની સાથે એકવાર આઈસ્ક્રીમ ખાવાની વિનંતી કરી સુમિતના આશ્ચર્ય વચ્ચે પ્રજ્ઞાએ તે વિનંતીનો સ્વીકાર પણ કર્યો. સુમિતના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. બન્ને જણ આઈસ્ક્રીમ ખાવા ગયા ત્યાં બેસીને ઘણી બધી વાતો કરી. હવે આગળ શું કરવાનું છે, પોતાના પરિવાર વિષે પણ વાતો કરી. છુટા પડતી વખતે હિંમત કરીને સુમિતે પ્રજ્ઞા પાસે તેનો મોબાઈલ નંબર માંગી લીધો.

                     રોજે રોજનો ફોન કોન્ટેક્ટના સિલસિલા થી તેમનો પરિચય  મિત્રતામાં ફેરવાઈ ગયો. અને મિત્રતાએ એ પ્રણયનું બાળપણ છે. તેમની આ મિત્રતા ક્યારે પરસ્પરના પ્રેમમાં ફેરવાઈ ગઈ તેની બંનેમાંથી કોઈને ખબર ના પડી. અચાનક એક દિવસ પ્રજ્ઞાના પરિવારમાં તેના મમ્મી કુંદનબેહેને તેના પપ્પા પ્રકાશભાઈ આગળ તેની સગાઈ માટે સારો છોકરો શોધવાની વાત કાઢી. આ સંભાળીને પ્રજ્ઞા બેચેન બની ગઈ. પોતાની બેચેની માટે બહુ વિચાર કર્યા પછી તેને સમજાયું કે તેની બેચેની પાછળનું કારણ સુમિત પ્રત્યે તેના મનમાં ખીલી ઉઠેલી પ્રેમની કુણી લાગણી હતી. સાજે સુમીતનો ફોન આવતા તેણે સુમિતને પોતાના મનની સ્થિતિની વાત કરી અને આ વાત દરમ્યાન જ બંને જણ પોતાના પરસ્પરના પ્રેમનો એકરાર કરી બેઠા. સુમિત અને પ્રજ્ઞા આમ તો એક જ બ્રાહ્મણ જ્ઞાતિના હતા પણ ગોળની દ્રષ્ટિએ તેમનો સમાજ જુદો પડતો હતો. પણ બંનેનો પિરવાર આધુનિક વિચારધારાવાળો હતો. એટલે ગોળનો પ્રશ્ન તેમને નડતો ન હતો. પણ પ્રશ્ન એ હતો કે માં-બાપ આગળ આ વાત મુકવી કેવી રીતે. થોડાજ દિવસોમાં આ પ્રશ્નનો પણ અંત આવ્યો. પ્રજ્ઞાના દાદીમાં ગામડેથી તેના ઘરે રહેવા માટે આવ્યા. આપણે જાણીએ છીએ કે દાદા-પોત્ર કે દાદી-પોત્રીના સબંધો પિતા-પુત્ર કે માતા-પુત્રીથી વધુ નિખાલસ હોય છે. પ્રજ્ઞાએ પોતાના મનની વાત પોતાના દાદીમાને કરી. દાદીમાએ તેને ટેકો આપ્યો અને પ્રજ્ઞાના માતા-પિતાને સમજાવવાનું આશ્વાસન પ્રજ્ઞાને આપ્યું. આ સુમિત એ જ ની;સંતાન માં-બાપનો દીકરો હતો જે આપણને વાર્તાની શરૂઆતમાં મળ્યો હતો.

                 એક દિવસ તક જોઈને પ્રજ્ઞાની દાદીએ  સુમિત અને પ્રજ્ઞાની વાત પરિવાર વચ્ચે મૂકી. પરિવારમાં કોઈને વાંધો ન હતો. બીજા રવિવારે પ્રજ્ઞા, તેના પિતા પ્રકાશભાઈ, તેના દાદી, તેનો ભાઈ, બધા સુમિતના ઘરે ગયા. પ્રજ્ઞાની મમ્મી કુંદનબેહેનની તબિયત  થોડી ખરાબ હોવાથી તે એકમાત્ર ઘરે રહ્યા. આ કુંદન એ જ કુંદન હતી કે જેના લગ્ન આપણે વાર્તની શરૂઆતમાં માણ્યા હતા. સુમિતના માતા રંજનબેન અને પિતા વિકાસભાઈએ પોતાની આગતા સ્વાગતાથી સુમિતના પિરવારના લોકોના દિલ જીતી લીધા. વાત લગભગ પાક્કી ગોઠવાઈ ગઈ. સુમિતના ઘરેથી નીકળતી વખતે પ્રજ્ઞાની દાદીએ સુમિતના માતા-પિતાને કહ્યું કે પ્રજ્ઞા અને સુમિતના લગ્ન જીવનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે આપણે તે બન્નેની જન્મકુંડળી મેળવી લેવી જોઈએ. તમે અમને સુમિતની જન્મકુંડળી મોકલી આપજો. આમ કહી બધા છુટા પડ્યા. આ સગાઈની વાત થી બધાજ ખુશ હતા. પણ કોણ જાણે કેમ પ્રજ્ઞાની દાદીમાએ કરેલી જ્ન્મકુંડળીની વાતથી સુમિતના પિતા વિકાસભાઈ થોડા બેચેન બન્યા. પ્રજ્ઞા અને સુમિતની ખુશીનો પાર ના રહ્યો. તેમના એક-મેકને મળવાના સપના હવે પુરા થવાના હતા.  તે દિવસે રાતે જમતી વખતે સુમિતના મમ્મીએ તેના પપ્પા વિકાસભાઈને વાત યાદ કરાવીને કહ્યું કે, તમે કાલે દુકાને જવા નીકળો ત્યારે સુમિતની જન્મકુંડળી પ્રજ્ઞાના પરિવારવાળાને આપતા જજો.  રંજન, જ્યાં માણસોના મન મળતા હોય ત્યાં કુંડળીઓ મેળવવાની શી જરૂર છે ? હું આ બધી વાતોમાં નથી માનતો. વિકાસભાઈએ એ બાબતમાં નારાજગી જતાવી.  તમે નથી મનતા પણ એ લોકો માનતા હોય તો ભલેને કુંડળીઓ મેળવી લે, તેમાં તમને શું વાંધો છે ? રંજનબેને પ્રકાશભાઈને સમજાવતા કહ્યું. વાંધો છે ત્યારે જ તો કહું છું. કહેતા વિકાસભાઈ થોડા અકળાઈ ગયા. રંજનબેનને નવાઈ લાગી. તેમણે સહેજ અકળાઈને પૂછ્યું, પણ એવો તો શું વાંધો છે કે તમે એટલા અકળાઈ જાઓ છો ? તે ગમેં તે હોય પણ આવા અંધશ્રદ્ધામાં માનનારા પરિવારમાં હું સુમિતનું સગું કરવા નથી માંગતો એમ કહી વિકાસભાઈ જમતા જમતા ઉભા થઇ બહાર નીકળી ગયા. રંજનબેને વિકાસભાઈની આંખમાં ગજબનું તોફાન જોયું. તેમની નવાઈનો પાર ના રહ્યો. આમ તો તે વિકાસભાઈને બરાબર ઓળખતા હતા. તે સુમિતને ખુબ જ ચાહતા હતા. સુમિતની ખુશી માટે તે કંઈ પણ કરવા તૈયાર હતા, પણ આજે તે સુમિતની ખુશી આડે કેમ આવતા હતા તે રંજનબેનને સમજાતું ન હતું. તે સમજી ગયા કે જન્મકુંડળી ન આપવા પાછળ ચોક્કસ કોઈ બીજું જ કારણ હતું. તે દિવસે આખી રાત રંજનબેનને ઊંઘ ના આવી.

                બીજા દિવસે સવારે ચા પીતી વખતે રસોડામાં તેમણે ફરીથી જન્મકુંડળીની વાત કાઢી. શું વાતછે તમે જન્મકુંડલી કેમ આપવા માંગતા નથી. વિકાસભાઈ એ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો પણ રંજનબેને એ જ વાત પકડી રાખી. છેવટે તેમણે વિકાસભાઈ ને સુમિતના સમ આપી સાચી વાત કરવા માટે કહ્યું. સુમિતના સમની વાતથી વિકાસભાઈ ઢીલા પડી ગયા. તેમનો ચહેરો રડવા જેવો થઇ ગયો. તેમણે રંજનના મોઢા પર હાથ મૂકી તેમને સમ આપતા અટકાવ્યા. છેવટે વિકાસભાઈ સાચી વાત કરવા માટે મજબુર થયા. તેમણે રંજનનો હાથ પોતાના હાથમાં લીધો અને વાત શરું કરી બરાબર તે જ વખતે સુમિત તેના રૂમમાંથી ઉઠીને રસોડામાં આવી રહ્યો હતો. તેની નજર તેના મમ્મી-પપ્પા પર પડી તેણે પોતાના મમ્મી-પપ્પાને આટલા ચિંતાતુર પહેલા ક્યારેય જોયા ન હતા. તે કોઈને ખબર ના પડે તે રીતે રસોડાના દરવાજા બહાર જ ઉભા રહીને તેમની વાતો સંભાળવા લાગ્યો. વિકાસભાઈ એ વાત શરું કરી, રંજન મને માફ કરી દે. મેં વરસોથી તારાથી એક વાત છુપાવી છે. પણ એ તારા સુખ માટે જ. રંજનબેન આશ્ચર્યથી વિકાસભાઈ સામે જોઈ રહ્યા. વિકાસભાઈ એ આગળ ચલાવ્યું તેમની આંખો આંસુથી છલકતી હતી, કહેતા જીભ નથી ઉપડતી. તું જેને આપણો દીકરો સમજીને લાડ-કોડથી વીસ વરસથી ઉછેરે છે તે સુમિત આપનો દીકરો નથી. આ સંભાળીને રંજનબેન પર જાણે કે વીજળી પડી. તે એકદમ સ્તબ્ધ થઇ ગયા. તેમની આંખો પહોળી થઇ ગઈ. વિકાસભાઈએ વાત આગળ ચલાવી, આજથી વીસ વરસ પહેલા અપણા ઘરે ખુશીનો દિવસ હતો. આપણા લગ્ન જીવનના બાર વરસ પછી તને પ્રેગ્નેન્સી રહી હતી. ધીમે ધીમે તને દિવસો ચઢતા જતા હતા. અચાનક એક દિવસ તને પ્રસુતિની પીડા ઉપડી. હું દુકાને ગયો હતો. આપણા પડોશીઓએ તને હોસ્પિટલમાં દાખલ કરી અને મને ફોન કર્યો. હું હોસ્પિટલ પહોંચ્યોં ત્યારે ડોક્ટર મારી જ રાહ જોઈ રહ્યા હતા. તેઓ મને તેમના કેબીનમાં લઈ ગયા અને કહ્યું, ‘તમારી પત્નીની નોર્મલ ડીલીવરી શક્ય નથી. અમારે સીઝેરીયન કરી બાળક લેવું પડશે.’ મેં તેમને તે માટે હા પાડી. તને ઓપરેશન થીયેટરમાં લઈ જવામાં આવી. પણ એટલેથી આપણી મુસીબતોનો પાર આવ્યો ન હતો. હું ઓપરેશન થીયેટરની બહાર તારુ ઓપરેશન પૂરું થવાની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં ડોક્ટર સાહેબે મને અંદર બોલાવ્યો અને કહ્યું, ‘તમારી પત્નીના ઓપરેશનમાં જોખમ છે. માતા અથવા બાળક બંનેમાંથી એકનો જ જીવ બચી શકે તેમ છે. અમે બંનેને બચાવવાનો પુરતો પ્રયત્ન કરીશું. આ સાંભળી મારા હોશ-કોશ ઉડી ગયા. હું ડરતો હતો કે જો તને કંઈ થઇ ગયું તો આપણું બાળક જન્મતા જ અનાથ બની જશે. હું ભગવાનને બંને જીવને બચાવવા પ્રાર્થના કરી રહ્યો હતો. અઢી કલાકના ઓપરેશન પછી ડોક્ટર બહાર આવ્યા. હું રડતા ચહેરે તેમની પાસે દોડી ગયો. તેમણે માર ખભા પર હાથ મુકીને કહ્યું, આઈ એમ સોરી, અમે બંનેને બચાવવા ખુબ પ્રયત્ન કર્યો, પણ બાળક મૃત જન્મેલ છે. અમે અપના બાળકને બચાવી ન શક્યા. તમારી પત્ની હવે સુરક્ષિત છે. એક કલાકમાં તેમને હોશ આવી જશે. મારા પર જાણે કે વીજળી પડી.

               તુ હજી  બેભાન હતી. હું તારી પથારી પાસે તારા ભાનમાં આવવાની રાહ જોઈને બેઠો હતો. તું ભાનમાં આવીશ ત્યારે હું તને શું જવાબ આપીશ એ વિચારે મારું મન ચકડોળે ચઢ્યું હતું. એટલામાં એક નર્સ મને બોલાવવા આવી, ડોક્ટર સાહેબ તમને તેમની ચેમ્બરમાં બોલાવે છે. ત્યાંથી હું ભાગેલા પગે ડોક્ટર પાસે ગયો. ત્યાં એમણે મને જે વાત કહી તે સાંભળી મારી પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમણે કહ્યું, મને કહેતા બહુ દુખ થાય છે પણ તમારી પત્ની હવે ક્યારેય માતા નહી બની શકે. બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું અને તેના ચેપથી તમારી પત્નીની ગર્ભાશયની કોથળીને ચેપ લાગ્યો હતો એટલે અમારે કોથળી કાઢી નાખવી પડી.  હું ડોક્ટર સાહેબ આગળ જ ચોંધાર આંસુએ રડી પડ્યો. તેમણે મારા ખભા પર હાથ મૂકી મને શાંત કર્યો. ગયો. ડોક્ટરે મને પ્રેમથી બેસવા કહ્યું.  હું નિરાશ ચેહરે બેઠો. ડોક્ટરે વાત શરું કરી, વિકાસભાઈ તમારા મનની સ્થિતિ હું સમજી શકું છું. ભગવાનને જે ગમ્યું તે ખરું. પણ જો તમે ઈચ્છો તો તમારી પત્નીને આ આઘાતમાંથી બચાવી શકો છો. ડોક્ટરની વાત મને કંઈ સમજાઈ નહી. મેં પ્રશ્નભરી નજરે તેમની સામે જોયું. તેમણે પોતાની વાત આગળ ચલાવી, હા એ શક્ય છે જો તમે તૈયાર હોવ તો. મને હજી કંઈ સમજાતું ન હતું. મેં ડોક્ટરને પૂછ્યું, તે કેવી રીતે ? ડોક્ટરે કહ્યું, તમારી પત્નીનું ઓપરેશન થયું તે પહેલા મેં બીજી એક સ્ત્રીની પ્રસુતિ કરાવી હતી. તેને દીકરો જન્મ્યો હતો. હું જયારે તમારી પત્નીનું ઓપરેશન કરીને બહાર આવ્યો ત્યારે મને જાણવા મળ્યું કે તે સ્ત્રી બાળકને હોસ્પિટલમાં જ ત્યજીને નાસી ગઈ હતી. આવા તો કેટલા નિર્દોષ બાળકો આ દુનિયામાં જન્મે છે જે પોતાના મા-બાપના કુકર્મ ને લીધે જન્મતા જ અનાથ બની જાય છે. તેમનું આશ્રય  સ્થાન પછી અનાથ આશ્રમ બને છે. જો તમે તૈયાર હો તો એ બાળકને તમે અપનાવી શકો છો. તમારી પત્ની હજી બેભાન છે. તેમના ભાનમાં આવતા પહેલા અપણે આ બાળકને તેમની પાસે મૂકી દઈશું. એમ કરવાથી એક નિરાધાર બાળકને આશરો મળશે અને તમને સંતાન. ડોક્ટરની વાત સંભાળીને થોડીવાર તો શું કરવું તે મને સુજ્યું નહી. પણ અચાનક યાદ આવ્યું કે તું ફરી મા બની શકે તેમ નથી. એટલે મેં તે બાળકનો સ્વીકાર કરવાનો નિર્ણય લીધો. પછી એ બાળકને લઈને તારી પાસે સુવાડી દીધો. તું જયારે ભાનમાં આવી ત્યારે એ બાળકને પોતાનું બાળક સમજી લીધું. ભગવાનની દયા થી તારા સ્તન દુધે ભરાયા. તારી છાતીએ એ બાળકને દુધના ઘૂંટડા ભરતા જોઈ ડોક્ટરે મારી તરફ ઉપકારની નજર નાંખી. અને એ બાળક જ આપણો સુમિત છે. આમ કહી વિકાસભાઈ એ પોતાની વાત પૂરી કરી. થોડી ક્ષણો એમ જ શાંતિમાં જ પસાર થઇ. પછી વિકાસભાઈ રંજન સામે જોઈને બોલ્યા હવે તું જ મને કહે, જે બાળકના જન્મનો ચોક્કસ સમય કે ચોઘડિયાની મને ખબર નથી તેવા બાળકની જન્મકુંડળી હું પ્રજ્ઞાના પરિવારવાળાને ક્યાંથી લાવી આપું ?

                     પોતાની વાત પૂરી કરી વિકાસભાઈએ રંજન સામે જોયું. રંજનબેન જાણે કે પથ્થરની મૂર્તિ બની ગયા હતા. તેમની આંખો ફાટી ગઈ હતી. વિકાસભાઈ એ રંજનબેનને ખભેથી પકડીને હલાવ્યા ત્યારે તે ભાનમાં આવ્યા અને પોક મુકીને રડવા લાગ્યા, ભગવાને મારી સાથે આવું કેમ કર્યું ? વિકાસભાઈ તેમને સમજાવી રહ્યા હતા, અરે ગાંડી એક હાથે આપવું અને બીજા હાથે લઇ લેવું એ તો કુદરતની લીલા છે. તારે તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે તેણે તને સુમિત જેવો દીકરો ભેટ આપ્યો. જો એ તને અને મને કેટલો પ્રેમ કરે છે. આમ કહી વિકાસભાઈ રંજનબેનને સમજાવવા લાગ્યા. ખુબ રડી લીધા પછી રંજનનું મન હળવું થયું. વિકાસભાઈ એ કહ્યું, આપણે સુમિતને કશી વાત કરવી નથી. રંજનબેને માથું હલાવી હા પાડી. એટલામાં જ રસોડાના બાજુના રૂમમાંથી કંઇક પડવાનો અવાજ આવ્યો. બંને જને બહાર આવીને જોયું તો તેમની વાતો સાંભળીને રડી રહેલ સુમિતના હાથમાંથી કાચનો પ્યાલો પડીને ફૂટી ગયો હતો. વિકાસભાઈ અને રંજનબેન ફાટી નજરે સુમિત સામે જોઈ રહ્યા. થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. કોઈ કશું બોલ્યું નહી. આખરે રંજનબેનના મોઢામાંથી શબ્દો નીકળ્યા, બેટા તું ક્યારે આવ્યો ? જવાબમાં સુમિત દોડીને રંજનબેનને ભેટી પડ્યો. જેમ તરત જ પ્રસુતિ થયેલી ગાય પોતાના વાછરડાને ચાટવા લાગે તેમ રંજનબેન સુમિત પર ચુંબનોનો વરસાદ વરસાવી રહ્યા.

             સુમિત અને પ્રજ્ઞાની સગાઈ જન્મકુંડળીના આંકડાઓની માયા જાળમા અટવાઈને રહી ગઈ. એ પછી સુમિત ઉદાસ રહેવા લાગ્યો. એકવાર સુમિતના મમ્મી તેના માટે ચા લઈને તેના રૂમમાં ગયા ત્યારે સુમિત પ્રજ્ઞાનો ફોટો પોતાના હાથમાં લઈને રડમસ ચેહરે બેઠો હતો. રંજનબેનથી સુમિતની આ દશા જોઈ જાતી ન હતી. તેમણે સુમિતના પપ્પાને વાત કરી, આપણો સુમિત પ્રજ્ઞાને ખુબ પ્રેમ કરે છે. આપણે પ્રજ્ઞાના મમ્મી પપ્પાને સમજાવીએ તો. તેમને સાચી વાત કહી દઇશું. ભગવાન કરેને તેઓ જન્મકુંડળીની વાત ભૂલીને સગાઈ માટે રાજી થઇ જાય તો આપણા સુમિતની જીંદગી ખુશીઓથી ભરાઈ જાય. સુમિતના પપ્પાએ સુમિતની ખુશી માટે એ પ્રયત્ન કરી પ્રજ્ઞાના પરિવારવાળાઓને મળી સમજાવી જોવાનું નક્કી કર્યું. એક સાંજે તેમણે પ્રજ્ઞાના પરિવારવાળાઓને સગાઈ માટે જરૂરી વાત કરવી છે તેમ કહી પોતાના ઘરે બોલાવાયા.

                પ્રજ્ઞા, તેના મમ્મી, તેના પિતા અને તેના દાદી બધા સુમિતના ઘરે આવ્યા. પ્રકાશભાઈ અને તેમની પત્ની રંજનબેને બધાને શાંત ચિત્તે આવકાર આપ્યો અને બેસાડ્યા. તે વખતે સુમિત પણ ઘરે જ હતો. સુમિતને જોઈને  પ્રજ્ઞાના મમ્મી કુંદનબેનને સુમીતનો ચહેરો પરિચિત લાગ્યો. આમ તો તે સુમિતના ઘરે પહેલીવાર જ આવ્યા હતા તેમ છતાં તેમણે સુમિતને પહેલા ક્યાંક જોયો હોય તેવું લાગ્યું. તેમણે એ વાત ઉપર બહુ ધ્યાન ન આપ્યું. સુમિતના મમ્મી-પપ્પાની મન:સ્થિતિ પ્રજ્ઞાની મમ્મી કુંદનબેનથી છાની ના રહી. તેમણે તરત જ પૂછ્યું, શું વાત છે તમે આમ ચિંતામાં કેમ દેખાવો છો ? બધું ઠીક-ઠાક તો છે ને ? સુમિતના પિતાએ સુમિતના માતા તરફ નજર નાંખી પછી કુંદનબેન સામે ફરીને કહ્યું, વાત ક્યાંથી શરું કરવી તે અમને સમજાતું નથી. પણ અમે કોઈ વાત તમારાથી છુપાવવા માંગતા નથી. એટલા માટે જ અમે તમને અહીં બોલાવ્યા છે. બધા પ્રશ્નભરી નજરે વિકાસભાઈ તરફ જોઈ રહ્યા. તેમણે રંજનબેનની પ્રેગ્નેન્સીથી લઈને સુમિતના જન્મ સુધીની બધી જ સત્ય હકીકત બધાને કહી સંભળાવી. આ સંભાળીને બધાના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. પણ કુંદનના તો હોશ-કોશ જ ઉડી ગયા. વિકાસભાઈએ આગળ ચલાવ્યું, એકમાત્ર સુમિત અને પ્રજ્ઞાની ખુશી માટે અમે આ સગાઈ કરવા માંગીએ છીએ જો તમને વાંધો ન હોય તો. હવે નિર્ણય તમારા હાથમાં છે. આખી વાત સાંભળી લીધા પછી પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈએ પ્રજ્ઞા તરફ નજર કરી અને કહ્યું, દીકરી આ તારી જિંદગીનો નિર્ણય છે માટે તું જ જવાબ આપ. પ્રજ્ઞાના દાદી વચમાં જ બોલી ઉઠ્યા, પ્રજ્ઞા શું જવાબ આપે તેનો જવાબ હું આપું છું. સુમિત ભલે તમારો સગો દીકરો ન હોય પણ એને સંસ્કાર આપીને મોટો તો તમે જ કર્યો છે ને. અમને એના જન્મ કે કુળ સાથે નહી પણ તેના સંસ્કાર અને ગુણો સાથે મતલબ છે. અને મારી પ્રજ્ઞા આવા સંસ્કારી છોકરા માટે ક્યારેય ના નહી પાડે. મને જો આવી પહેલા ખબર હોત તો જન્મકુંડળી માંગીને તમને દુખ ના પહોંચાડત. બોલ પ્રજ્ઞા તારે શું કહેવું છે ? પ્રજ્ઞાએ જવાબ આપ્યો, મેં સુમિતને સાચા દિલથી પ્રેમ કર્યો છે અને તેની સાથે જ જીંદગી જીવવા માંગું છું. પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈ એ પણ કહ્યું, અમને આ સબંધ સામે કોઈ વાંધો નથી. અમારી દીકરીની ખુશીમાં જ અમારી ખુશી છે. પ્રકાશભાઈ એ વાત પૂરી કરી એટલામાં તો અત્યારે સુધી શાંત બેઠેલી પ્રજ્ઞાની મમ્મી કુંદન એકદમ ઊભી થઇ ગઈ. તમને બધાને આ સબંધ ભલે મંજુર હોય પણ મને આ સબંધ સહેજ પણ મંજુર નથી. બધા ફાટી નજરે કુંદન સામે જોઈ રહ્યા. તેનું બોલવાનું હજી ચાલુ જ હતું, ભલે જન્મ કુંડળી ન હોત પણ સુમિત ખરેખર તમારો જ દીકરો હોત તો હું આ સબંધ સામે ક્યારેય વાંધો ન ઉઠાવત. પણ જેની નાત-જાતની આપણને ખબર નથી તેવા કોઈના પાપના પરિણામ  સાથે હું મારી દીકરીનો સબંધ ક્યારેય નહી કરું. આટલું બોલી કુંદન બધાને ત્યાંજ મુકીને એકલી જ ત્યાંથી નીકળી ગઈ. પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈ એ વિકાસભાઈને કહ્યું, તમે ચિંતા ના કરો કુંદનને અમે સમજાવી લઈશુ. એમ કહી એ લોકો પણ ત્યાંથી નીકળી ગયા. સુમિતનો પરિવાર દુખી થયો.

                  પ્રજ્ઞાનો પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે કુંદન ગુસ્સે ભરાઈ સોફા પર બેઠી હતી. પ્રકાશભાઈએ તેના ખભા પર હાથ મૂકી તેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. કુંદન તને શું થયું છે, તું આમ ગાંડા જેવું વર્તન કેમ કરે છે. કુંદને ગુસ્સામાં જ જવાબ આપ્યો, હા હું ગાંડી થઇ ગઈ છુ પણ એ અનાથ છોકરા સાથે મારી દીકરીની સગાઇ ક્યારેય નહી થવા દઉં. પ્રકાશભાઈ એ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, કુંદન સુમિત અનાથ નથી વિકાસભાઈ અને રંજનબેન જેવા સંસ્કારી મા-બાપે તેનો ઉછેર કર્યો છે. અને આપની પ્રજ્ઞા પણ તેને જ ચાહે છે. તું આપણી પ્રજ્ઞાની ખુશીનો તો વિચાર કર. તું મા બનીને તેની દુશ્મન શું કામ બને છે. કુંદન કંઈ સમજવા તૈયાર ન હતી. તેણે વળતો જવાબ આપ્યો, હા હું દુશ્મન છું પ્રજ્ઞાની અને તમારી બધાની. પણ હું કોઈ પણ ભાગે પ્રજ્ઞાની સગાઇ તે લાવારીસ છોકરા સાથે નહી થવા દઉં. કુંદનના આવા શબ્દો સાંભળી પ્રજ્ઞા રડતી રડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. પ્રજ્ઞાને રડતી જોઈને પ્રકાશભાઈને વધુ ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું, તું ગમે તે કર કુંદન. પણ હું તારું ધાર્યું નહી થાવ દઉં. હું એજ જ કરીશ જેમાં મારી દીકરીની ખુશી હશે. તારી વાતની મને કોઈ પડી નથી. હું પણ મરી જઈશ પણ પ્રજ્ઞાની સગાઇ એ છોકરા સાથે નહી જ થવા દઉં. કુંદન હજી માનવા તૈયાર ન હતી. છેવટે ઝઘડો શાંત કરવા પ્રકાશભાઈ ઘરની બહાર ચાલ્યા ગયા.

              આ વાત ને ત્રણ ચાર દિવસ થઇ ગયા. પ્રકાશભાઈએ કુંદનને સમજાવવાના ખુબ પ્રયત્ન કર્યા પણ તે માનવા તૈયાર ન હતી. પ્રકાશભાઈ પણ સુમિત સાથે જ પ્રજ્ઞાની સગાઈ કરવાની વાતમાં મક્કમ હતા. કુંદનને પોતાની હાર થતી દેખાતી હતી.

           આજે પ્રજ્ઞા કોલેજ ગઈ હતી. તેના દાદી મંદિર ગયા હતા. પ્રકાશભાઈ પણ બહાર ગયેલા હતા. ઘરમાં કુંદન એકલી જ હતી. તેનું મન ચકડોળે ચઢ્યું હતું. તેને દુનિયા ઝેર લાગવા લાગી હતી. પોતાની ધારી વાત ન બનતા તે વ્યાકુળ બની હતી. પણ તેણે નક્કી કર્યું કે હું ગમે તેમ કરીશ પણ પ્રજ્ઞા અને સુમિતની સગાઈ નહી થવા દઉં. થોડો સમય પસાર થયો. બહાર ગયેલા પ્રજ્ઞાના પિતા પ્રકાશભાઈ ઘરે પાછા આવ્યા. તેમણે જોયું તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે દરવાજો ખખડાવ્યો. ઘણીવાર થઇ પણ દરવાજો ખુલ્યો નહી. પ્રકાશભાઈને નવાઈ લાગી તેમણે વારંવાર દરવાજો ખખડાવ્યો પણ હજી દરવાજો ખુલ્યો નહી. તેમણે કુંદનના નામથી ટહુકા પણ પડ્યા. પણ કોઈ જવાબ મળ્યો નહી. પ્રકાશભાઈએ જોયું કે ઘરની એક બારી ખુલ્લી હતી. પ્રકાશભાઈએ દરવાજાની બાજુની બારીમાંથી ઘરમાં નજર નાંખી. રૂમની અંદર નજર પડતાં જ તેમની આંખો ફાટી ગઈ. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓં નહીં…..કુંદન નહી….. ખી બુમો પાડી રડવા લાગ્યા. તેમનો રડવાનો અવાજ સાંભળીને આજુબાજુના પડોશીઓ દોડી આવ્યા. તેમણે પણ બારીમાંથી અંદર નજર નાંખી તો તેમની આંખો પણ ફાટી ગઈ. કુંદને રૂમમાં પંખાના હુક સાથે સાડીનો છેડો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. તેણે આત્મહત્યા કરી લીધી હતી. ભેગા મળેલા લોકોએ દરવાજો તોડી કુંદનની લાશને નીચે ઉતારી. એટલામાં પોલીસ પણ આવી. પ્રજ્ઞા અને તેના દાદી પણ ઘરે આવ્યા. તેઓ પણ આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા. આખા ઘરનું વાતાવરણ ભેંકાર બની ગયું. પ્રજ્ઞાના પરિવારજનોના રુદનથી સોસાયટીમાં હાહાકાર મચી ગયો.

              એટલામાં સુમિતનો પરિવાર પણ આ સમાચાર સંભાળીને આવી પહોંચ્યો. પોલીસે લાશની તપાસ કરી તો કુંદનની સાડીના છેડામાંથી એક ચિઠ્ઠી મળી. પોલીસ ઇન્સ્પેકટરે ચિઠ્ઠી લીધી. પ્રજ્ઞાના પરિવારજનોને એક બાજુના રૂમમાં બોલાવ્યા. બીજા લોકોને બહાર જ રાખ્યા. તેમણે ચિઠ્ઠી વાંચવા માંડી. ચીઠ્ઠીનું લખાણ આ મુજબ હતું……

              હું કુંદન મારી પૂરી સભાન અવસ્થામાં આ ચિઠ્ઠી લખું છું. મારી આત્મહત્યા પાછળ કોઈનો દોષ નથી. મારી આત્મહત્યા માટે હું જ જવાબદાર છું. મને મારા જ પાપની સજા મળી છે. પણ મેં કરેલા પાપની સજા મારા સંતાનો ન ભોગવે માટે મેં આ પગલું ભર્યું છે. આ ચિઠ્ઠી ધ્વારા હું બધાને એક વાત કહેવા માંગું છું. જે મેં આજ સુધી બધાથી છુપવીને રાખી છે. અને આ વાત હું મારા જીવતા-જીવ ક્યારેય ન કરી શકત. મારી આત્મહત્યા પાછળનું સાચું કારણ આ છે…….   

               “”મારા માતા પિતાને બોલાવીને પુછજો. આજથી વીસ વરસ પહેલા હું મારા માતા પિતાના ઘરેથી રિસાઈને ચાલી ગઈ હતી. એની પાછળ મારી એક મજબુરી હતી. મેં આજ સુધી એ વાત કોઈને કરી નથી, કે હું શા માટે ઘર છોડીને સાત મહિના માટે ચાલી ગઈ હતી. એ વખતે હું નવગુજરાત કોલેજમાં ભણતી હતી. ત્યારે મારી સાથે  અરૂણ નામનો એક છોકરો ભણતો હતો. તેનું વતન મહેસાણા હતું પણ તે અમદાવાદની એક ખાનગી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. અમારી વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. અમે લગ્ન પણ કરવાના હતા. અરૂણ ક્હેતો કે તે વેકેશનમાં ઘરે જઈને પોતાના મા-બાપને અમારા પ્રેમ વિષે વાત કરશે અને લગ્ન કરવા મનાવી લેશે. આ દરમ્યાન અમે અવર-નવાર ફરવા જતા. આ સમય દરમ્યાન અમે શારીરિક છૂટ-છાટ પણ લેતા. એમાં અમારાથી એક ભૂલ થઇ ગઈ અને મને પ્રેગ્નેન્સી રહી. મેં આ વાતની જાણ અરુણને કરી. તેણે મને કહ્યું કે તે આજે જ મહેસાણા જઈને પોતાના મા-બાપ સાથે વાત કરી અમારા ઘડિયા લગ્ન કરવવાનો પ્રયત્ન કરશે. અરૂણ મહેસાણા ગયો. હું અહીં તેના પાછા આવવાની રાહ જોયી રહી હતી. અઠવાડિયા જેટલો સમય પસાર થયો પણ અરૂણ પાછો આવ્યો નહી. ત્યારે એક દિવસ મેં હિંમત કરીને એના ઘરના નંબર પર ફોન કર્યો. ફોન તેની બહેને ઉપાડ્યો. મેં અરૂણ વિષે પૂછ્યું ત્યારે સામેથી મને જે જવાબ મળ્યો તે સાંભળી મારું કાળજું ફાટી ગયું. તેની બહેને કહ્યું કે અરૂણ અઠવાડિયા પહેલા અમદાવાદથી ઘરે આવતો હતો ત્યારે તેની બસનો ટ્રક સાથે અકસ્માત થયો, આ અકસ્માતમાં અરુણનું મૃત્યુ થયું. મેં ફોન મૂકી દીધો. મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. મારી પરિસ્થિતિની જાણ મારી સાથે ભણતી મારી બહેનપણી વર્ષાને થઇ. તેણે મને હિંમત આપી અને કહ્યું, આપણે કોઈ સારા ડોક્ટર પાસે જઇ તારું અબોશન કરાવી નાંખીશું. અમે દુનિયાથી સંતાતા ફરતા એક ખાનગી દવાખાનામાં એબોશન માટે ગયા. પણ મારું ખરાબ નસીબ અહીં પણ મારો પીછો છોડતું ન હતું. ત્યાના ડોક્ટરે મારું ચેકઅપ કર્યું અને કહ્યું, તમારી શારીરિક પરિસ્થિતિ એ મુજબની છે કે તમે આજે એબોશન કરાવશો તો ભવિષ્યમાં ફરી ક્યારેય માતા બની શકશો નહી. આ સાંભળી મારા પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો. પણ વર્ષાએ મને હિંમત આપી અને એબોશન ન કરાવવા સમજાવ્યું. તેણે મને કહ્યું કે, તું તારા ભવિષ્ય પર જોખમા ના લઈશ. તને બે મહિના થઇ ગયા છે હવે બાકીના સાત મહિના ગમે તેમ કરી કાઢી આ બાળકને જન્મ આપ. પછી આપણે તેનાથી છૂટવાનો રસ્તો શોધી કાઢીશું. વર્ષાના પ્લાન મુજબ મેં ઘરે મારા મા-બાપ સાથે ખોટા કારણો બનાવીને ઝઘડા શરું કર્યા અને એ બહાને રિસાઈને એક દિવસ ઘર છોડીને ભાગી ગઈ. વર્ષા તેના અમદાવાદ ખાતેના ઘરે એકલી જ રહેતી હતી. તેનો પરિવાર સુરતમાં રહેતો હતો. એટલે દુનિયાથી મારું પેટ છુપાવીને સાત મહિના સુધી હું વર્ષના ઘરમાં જ સંતાઈ રહી. મારી પ્રસુતિનો સમય નજીક આવતા વર્ષાએ એ ખાનગી હોસ્પિટલમાં બોઘસ નામથી મારું રજીસ્ટ્રેશન કરાવી લીધું. પ્રસુતિના સમયે હું તે હોસ્પિટલમાં દાખલ થઇ. ત્યાં મેં એક દીકરાને જન્મ આપ્યો. અને તેના બે કલાક બાદ જ તે બાળકને ત્યજીને અમે નાસી ગયા. ત્યાંથી આવ્યા બાદ મેં મારા મા-બાપને ફોન કરી ઘર છોડવાની ભૂલ કરવા બદલ માફી માંગી. તેમણે મને માફ કરી અને ઘરે પછી આવી જવા કહ્યું. મારી તકલીફોનો અંત આવ્યો અને હું મારા મા-બાપના ઘરે પછી ફરી.

               મને લાગ્યું કે મેં મારું પાપ છુપાવી દીધું. પણ આજે સમજાયું કે પાપ ક્યારેય છુપતું નથી. તે છાપરે ચઢીને પોકારે જ છે. અને આજે મેં ભૂતકાળમાં કરેલું પાપ મારા વર્તમાનમાં સુમિત બનીને મારી સામે આવ્યું. હા સુમિત જ મારો ત્યજી દીધેલો પુત્ર છે. મારી દશા તો મહાભારતની કુંતી કરતાં પણ ભૂંડી થઇ. આજે મારો જ પુત્ર સુમિત અને મારી જ પુત્રી અને તેની બહેન પ્રજ્ઞા એક-બીજાના જીવનસાથી બનવા જઇ રહ્યા છે. નૈતિકતાની રાહે પ્રજ્ઞા અને સુમિત એક જ માતાની કુખેથી જન્મેલા ભાઈ-બહેન છે. આજે બધું જાણતી હોઈને પણ બે ભાઈ-બહેનના લગ્ન કરાવવાનું પાપ હું કેવી રીતે કરું. હું મારું ભૂતકાળનું એક પાપ છુપાવવા વર્તમાનમાં બીજું પાપ કરવા માંગતી ન હતી. અને મારા જીવતા જીવ આ વાત કોઈને કરી શકું તેમ પણ ન હતી. માટે ભાગવાનની ખાતર થઈને મારી જીંદગી તો બગડી પણ મારું મોત ના બગાડશો. જો મારા જિંદગીના બલિદાન થી આ પાપ થતું અટકશે તો હું મારા મૃત્યુને સાર્થક માનીશ.

            બેટા સુમિત મને માફ કરજે. પ્રજ્ઞા તારી નાની બહેન છે એ વિચાર કરજે. પ્રજ્ઞાના પપ્પા હું તમારી માફીને લાયક તો નથી પણ શક્ય બને તો મને માફ કરજો.””

લિ…

કુંદન.

સમાપ્ત.

                                                                  શ્રીપતિ

                                                                                                 =વિષ્ણુ દેસાઈ      

 

 

 

!! એક પરિવાર એસ ભી !! = “શ્રીપતિ”

Image

!! એક પારવાર એસા ભી !!

=”શ્રીપતિ”

               અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટેલમાં બેઠેલો અનંત તેના હાથમાં રહેલા ફોટા ઝડપથી જોઈં રહ્યો હતો. બધા જ ફોટા છોકરીઓના હતા. અનંતે આ બધા ફોટામાંથી કોઈ એકને પસંદ કરવાની હતી. લગભગ દસેક ફોટા જોયા પાછી અનંતના હાથ અટકી ગયા. તેણે ઝડપથી જવા દીધેલા બે-ચાર ફોટા પાછા ઉથલાવ્યા. ત્યાં તેની નજર એક ફોટા પર અટકી ગઈ. તે એકીટશે તે ફોટાવાળી છોકરી તરફ જોઈ રહ્યો. તે ફોટાવાળી છોકરી મોનાલિસાની મશિયાઈ બહેન જેવી લગતી હતી. તેના ચહેરા પર ના તો હાસ્ય હતું કે ના તો દુખ હતું. તેનો ચહેરો સોહામણો છતાં ગંભીર હતો. અનંતને તે ફોટો જોતા જ તે યુવતીના ચહેરા ભાવ જાણે પોતાના મનના જ ભાવ કહી રહી હોય તેમ લાગ્યું. બસ તેની આ લાક્ષણીક મુદ્રા અનંતને ગમી ગઈ. અનંતને તે ફોટામાં તલ્લીન થયેલો જોઈને ફોટા બતાવનારે  પૂછ્યું, “આ પસંદ છે ?” તેના પ્રશ્નથી અનંતની વિચારમાળા તૂટી. તેણે જવાબ આપ્યો, “હા આ ચાલશે.”

               રખેને કોઈ એવું મને કે અનંત તેની સગાઈ માટે છોકરી જોઈ રહ્યો હતો ! અને એ ફોટા બતાવનાર ભાઈ કોઈ લગ્ન કરાવી આપનાર પંડિત કે મેરેજબ્યુરોનો સંચાલક હતો ! આ તો એકવીસમી સદી છે મિત્રો. અહી તો બધા જ ધંધા આજે પ્રોફેશનલ બની ગયા છે. અનંતને ફોટો બતાવનાર પણ એકવીસમી સદીનો બિઝનેસમેન હતો. તે માણસ તે ફાઈવસ્ટાર હોટલનો મેનેજર હતો. તેણે અનંતના હાથમાં એક ચાવી મૂકી અને કહ્યું, “રૂમ નંબર ૧૬ સર” અનંત ઉઠીને રૂમ નંબર ૧૬ તરફ ચાલવા લાગ્યો. પેલો મેનેજર અનંતને રૂમ નંબર ૧૬ સુધી મુકવા આવ્યો. “હેવ અ નાઈસ ટાઈમ સર, એન્જોય યોર સેલ્ફ.” કહીને તે ત્યાંથી પાછો વળી ગયો.

            થોડું અનંત વિશે જાણીએ તો,  અનંત એક માધ્યમ કક્ષાનો બિઝનેસમેન હતો. અમદાવાદમાં નાનો પણ મોખાનો કહી શકાય તેવો રેડીમેડ ગારમેન્ટ્સનો તેનો ધંધો હતો. અનંત પોતાના વિશે કંઈ જાણતો નથી. તેને ખુદને પણ ખબર નથી કે તે અહી ક્યાંથી આવ્યો હતો. પણ હા એટલી ખબર હતી કે તેને જ્યારથી સમજણ આવી ત્યાંરથી તે અહી શેઠ રજનીકાંતની દુકાનમાં હતો. આ દુકાનના મૂળ માલિક રજનીકાંત શેઠને તે ચાર વરસનો મળી આવ્યો હતો. લાલદરવાજાની ભીડમાં એકલા અટુલા ઉભા રહીને રડી રહેલા અનંતને ની:સંતાન શેઠ રજનીકાંત પોતાના ઘરે લઇ આવ્યા હતા. બસ ત્યાંરથી શેઠ રજનીકાંત જ તેના મા-બાપ હતા. તેમણે અનંતને ભણાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ બારમાં ધોરણમાં બે વાર નપાસ થયા પછી અનંતે ભણવાનું છોડી દીધી. બસ ત્યાંરથી તે શેઠ રજનીકાંત સાથે તેમના ગારમેન્ટના ધંધામાં જોડાઈ ગયો. અનુભવી શેઠની છત્રછાયામાં તે પાક્કો વેપારી બની ગયો. મોટી ઉમરે શેઠ જયારે થાક્યા ત્યારે અનંતે જ તેમના પુત્ર બનીને તેમની ખુબ સેવા કરી. જીવનના અંત સમયે શેઠ રજનીકાંતે પોતાની તમામ મિલકત અને આ દુકાન અનંતને વરસમાં લખી આપી. એ વાતને આજે પાંચ વરસ થઇ ગયા. આજે અમિત ૨૯ વરસનો યુવાન છે. એક અનાથ બનીને ભટકતા અનંતને કિસ્મતે ઘણું આપ્યું હતું. તેમ છતાં તેને જીવનમાં કશુક ખૂટતું હોય તેમ લાગતું હતું. તેણે લગ્ન કરી સંસાર વસાવવાનો વિચાર ઘણીવાર કર્યો. પણ તેના ભૂતકાળથી પરિચિત વેપારી જગતમાં કોઈ તેને છોકરી આપવા તૈયાર ન હતું. તે ખુબ ઉદાસી અને એકલતા અનુભવતો હતો. તેનો દિવસ તો ધંધાની દોડધામમાં નીકળી જતો હતો. પણ રાતનું એકાંત તેને કોરી ખાતું હતું. તેની આ પરિસ્થિતિ જોઈને તેને એક વેપારી મિત્રએ તેને મન હળવું કરવા એક ફાઈવસ્ટાર હોટલનું સરનામું આપ્યું હતું. જ્યાં સુંદરીઓ અનંત જેવા એકલા અટૂલા અનંત યુવાનોનું દિલ બહેલાવતી હતી.

               ઘણા સમય સુધી અનંતે આ બાબતે વિચાર્યું ન હતું. પણ આજે તેનું મન ખુબ એકાંત અનુભવતું હતું. તે એકધારા જીવન પ્રવાહથી કંટાળો અનુભવતો હતો. તેને પેલા વેપારી મિત્રની વાત યાદ આવી. અને તે મિત્ર એ આપેલા સરનામાં મુજબ ફાઈવસ્ટાર હોટલને શોધતો અનંત આજે અહી આવી ચઢ્યો હતો.  હવે તેની આગળની મંજિલ હતી રૂમ નંબર ૧૬. તેને ત્યાં જઈ રૂમ નંબર ૧૬ના દરવાજામાં ચાવી લગાવતા જ દરવાજો ખુલી ગયો. તે રૂમમાં પ્રવેશ્યો. આખો રૂમ કોઈ રાજમહેલના શયનખંડ જેવો હતો. રૂમના ડબલબેડ પલંગને મધુર રજનીની શૈયાની જેમ શણગારવામાં આવ્યો હતો. કેન્ડલ લાઈટનું માદક અજવાળું અને એર ફ્રેશ્નરની ખુશ્બુ મનને રોમાંચિત કરી દેતા હતા. રૂમમાં પ્રવેશતા જ અનંતે એક અજબની માદકતા અનુભવી. છતાં તેનું મન બેચેન હતું. કેમકે આ તેના જીવનનો પહેલો અને નવો જ અનુભવ હતો.

               તેના રૂમમાં પ્રવેશતા જ તે સુંદરી પોતાના નિત્યક્રમ મુજબ પોતાના ગ્રાહકને આવકારવા ઉભી થઇ. અનંત પલંગ પર તે સુંદરીથી થોડું અંતર રાખીને દુર બેઠો. તે યુવતીને નવાઈ લાગી. રૂમનો દરવાજો ખુલતા જ પોતાના શરીર પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતા અનેક ગ્રાહકો તેણે જોયા હતા. ત્યારે આવો ધીરજવાન યુવાન તેણે પહેલી જ  વાર જોયો હતો. તે પણ પલંગ પર બેઠી. થોડીવાર રૂમમાં શાંતિ પથરાઈ રહી. કોઈ કશું બોલતું ન હતું. આખરે યુવતીના શબ્દોથી રૂમની શાંતિ તૂટી. “તમે રૂમમાં પ્રવેશ્યા ત્યાંરથી જ તમારા મનોરંજનનું મિટર શરુ થઇ ગયું છે. અહી તો સેકન્ડના ભાવ ગણાય છે. જેટલી સેકન્ડ વધારે તેટલું બિલ પણ વધારે.” આમ કહીને અધર્મના ધંધામાં પણ પોતાનો ધર્મ જાણનાર તે યુવતી પોતાના દેહ પરથી વસ્ત્રો ઉતારવા લાગી. અનંતે તેને તેમ કરતી અટકાવી, “ના ના તમે એમ જ બેસો. “ યુવતીના આશ્ચર્યનો પર ના રહ્યો. પણ પોતે અહી દાસી હતી. અને અહી આવનાર દરેક તેના સ્વામી હતા. તેને પોતાના આ સ્વામીની અજ્ઞા માન્ય રાખી. બંને જણ થોડીવાર એમ જ બેસી રહ્યા. સમય વહેતો રહ્યો. અનંત તો માત્ર તે સુંદરીને જોતો જ રહ્યો. અને તે યુવતી પણ નવાઈ ભરી નજરે અનંતને જોતી રહી. ઘણો સમય વીત્યા પછી અનંત ત્યાંથી વિદાય થયો. તે જેવો રૂમની બહાર આવ્યો પેલો મેનેજર તેની રાહ જોઈને બહાર જ ઉભો હતો. તેણે ચહેરા પર બનાવટી હાસ્ય પાથરીને બિલ અનંતના હાથમાં મુક્યું. અનંતે બિલ ચુકવ્યું. પેલા મેનેજરે “યુ આર વેલકમ સર, ફરી પધારજો” કહી અનંતને વિદાય આપી.

               અનંત ત્યાંથી ઘરે આવ્યો. ઘરે આવીને પણ તેને ઊંઘ ના આવી. પેલી હોટલવાળી યુવતીનો ચહેરો તેની આંખો આગળથી ખાસતો ન હતો.  “શું તેની સુંદરતા હતી. શું કામ કોઈ પોતાની આવી સુંદરતાને આમ છડે ચોક લુતાવતું હશે. એવી તો શી મજબુરી હોતી હશે !” આવા અનેક પ્રશ્નો અનંતના મનમાં થઇ રહ્યા. આ બાજુ પેલી યુવતીના મનમાં પણ અનંતની અજબની છાપ વસી ગઈ. પોતાના જીવનમાં આવો યુવાન તેણે આજ પહેલા ક્યારેય જોયો ન હતો. ભૂખથી કકળીને અહી આવે અને મિષ્ટાન ભરેલા થાળ પરથી ભૂખ્યો જ ચાલ્યો જાય એવો યુવાન આજે તેને પહેલીવાર જ જોયો હતો. “શું ફરી આ યુવાન સાથે મુલાકાત થશે !” તેવા પોતાના પ્રશ્નના જવાબમાં એક ઊંડો નિસાસો નાખીને તે અનંતના વિચારોમાં ખાવી રહી. બે-ચાર દિવસનો સમય પસાર થયો. અનંતની નજર સામેથી તે યુવતીનો ચહેરો હટતો હતો. આજે ફરી તેનું મન તે સુંદરીના દર્શન માટે વ્યગ્ર બન્યું હતું. અને સાંજે તે ફરી પેલી ફાઈવસ્ટાર હોટલ તરફ દોડી ગયો. જેમ તરસ્યું હરણ મૃગજળ પાછળ દોટ મુકે તેમ અનંત હોટલ તરફ દોડી ગયો. ત્યાં પહોચતા જ પેલો મેનેજર ફરી ચહેરા પર બનાવટી હાસ્ય સાથે હાથમાં અનેક છોકરીઓના ફોટા લઈને આવી ગયો. પણ તે અનંત આગળ ફોટા ધરે તે પહેલા જ અનંતે કહ્યું, “રૂમ નંબર ૧૬”  “ઓ.કે.સર” કહી પેલા મેનેજરે રૂમ નંબર ૧૬ની ચાવી અનંતના હાથમાં મૂકી. અનંત રૂમમાં પહોચ્યો. અનંતને ફરી જોતા જ પેલી યુવતીએ તેની તરફ દોટ મૂકી. પણ અડધે રસ્તે જ તે અટકી ગઈ. તેને ભાન થયું કે તેના રૂમમાં આવનાર એ તેનો કોઈ આશિક કે પ્રિયતમ ન હતો. તેણે પોતાની જાતને સાંભળી લીધી. પણ ત્યાં જ અટકી ગયેલી તે યુવતીને જોઈને અનંતે પોતાની બહો ફેલાવી. અને અટકી પડેલી તે યુવતી વધુ વેગથી દોડીને અનંતની બાહોમાં સમાઈ ગઈ. થોડી ક્ષણો એમ જ પસાર થઇ. પછી બંને જણ બેઠા અને વાતે વળ્યા. આજે વરસો પછી બંનેને કોઈ પોતાના મનની વાતો સાંભળનાર મળ્યું હતું. પછી તો હૃદયના ધ્વાર ખુલતા ગયા, અને વરસોથી મનમાં ધરબાઈ પડેલી વાતો હોઠે આવતી ગઈ.

              અનંતે શરૂઆત કર્યું, ”ભગવાને તમને આવો સુંદર દેહ આપ્યો છે તો તેને આમ લિલામ શું કામ કરો છો ?” તે સુંદરીએ જવાબ આપ્યો, “ભગવાનનો આપેલો આ સુંદર દેહ મારા માટે વરદાન નહી પણ શ્રાપ છે.” અનંતે આગળ ચલાવ્યું, “તમારા પરિવારની એવી તો શી મજબુરી છે કે તમારે આ રસ્તે ચાલવું પડે છે.”  “મારે પરિવાર નથી એજ મોટી મજબુરી છે.” યુવતીએ જવાબ આપ્યો. અનંતને આજે જીવનમાં પહેલીવાર કોઈ સમદુખી મળ્યું હતું. તે યુવતીનું નામ ચેતના હતું. પણ અનંતને મળ્યા પહેલા તેનું જીવન સાવ અચેતન જ હતું. તે પણ અનંતની જેમ જ તેના પરીવાર અને સમાજથી તરછોડાયેલી હતી. પણ તેનું મોટું કમનસીબ એ હતું, તે છોકરી હતી અને પાછી સુંદર હતી. તેને અનંતની જેમ કોઈ શેઠ રજનીકાંત મળ્યા ન હતા. પણ જે મળ્યો તે રાક્ષસ  હતો. જે તેને આ વેશ્યાગૃહમાં વેશ્યા બનવા માટે વેચી ગયો હતો. હવે તેના માટે આ જ તેની દુનિયા હતી. બંનેની વાતોમાં સમય વીતતો ગયો અને સાથે સાથે બંનેનો વીતેલો સમય વાગોળાતો ગયો. આમને આમ વાતોમાં જ સવાર થઇ ગઈ. અનંત વિદાય લેવા ઉભો થયો. ત્યાં જ ચેતના બોલી, “ફરી ક્યારે દર્શન થશે ?”  “બહુ જલ્દી” કહી અનંતે વિદાય લીધી. તે જેવો રૂમની બહાર આવ્યો પેલો મેનેજર પોતાની જુઠ્ઠી સ્માઈલ સાથે બહાર જ ઉભો હતો. અનંતે તેના હાથમાં હજારની નોટોની એક થપ્પી મૂકી અને કહ્યું, “એક મહિના માટે બુકિંગ સમજો. બુજા કોઈને આ રૂમ ન મળવો જોઈએ.”  “ઓ.કે.સર” કહી મેનેજર રૂપિયાની થપ્પી ગણવા લાગ્યો. ચેતના ભારે મને અનંતને જતો જોઈ રહી. પછી તો આ સીલસીલો રોજનો બની ગયો. દિવસભરની દોડધામથી થાકીને અનંત રાતે ચેતના પાસે પહોચી જતો અને ત્યાં ચેતનાના ખોળામાં મથું નાખી સુઈ જતો. ચેતનાનો હાથ તેના માથા પર ફરતા જ તેનો બધો થાક ઉતરી જતો. બીજી તરફ ચેતના પણ રાતે અનંતને મળવાની ઝંખનામાં દિવસ વિરહની વેદનામાં પસાર કરવા લાગી. આમને આમ મહિનાઓ પસાર થઇ ગયા.  હવે અનંત અને ચેતનાને એકબીજા વગર જીવવું અશક્ય લાગતું હતું.

               એક દિવસ પોતાની વિદાય લઈને જઈ રહેલા અનંતને ચેતનાએ પૂછી લીધું, “બસ આમ જ મળતા રહેશો કે મને તમારા જીવનમાં અપનાવશો !” હકીકતમાં તો આ અનંતના મનની જ વાત હતી.પણ પોતે અહી એક ગ્રાહક હતો. અને ચેતના એ ભાડે લીધેલી વસ્તુ. ભાડે લીધેલી વસ્તુને પોતાની કેમ બનાવી શકાય તે જ અનંતના મનની મુજવણ હતી. પણ આજે ચેતનાએ સામે ચાલીને અનંત સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો એટલે અનંત માટે તમામ રસ્તા હવે ખુલ્લા હતા. અનંતે ચેતનાને પોતાની બાહોમાં ખેચી લીધી અને કહ્યું, બસ હું આ જ ક્ષણની રાહ જોતો હતો. બહુ જલ્દી હું તને આ નરકમાંથી છોડાવીને મારા ઘરે મારી જીવનસંગીની બનાવીને લઇ જઈશ.” અનંતે તરત જ હોટલના મેનેજરને બોલાવ્યો અને કહ્યું, “હું આ ચેતનાની ઇચ્છાથી તેને મારી સાથે મારા ઘરે લઇ જવા માંગું છું, કિંમત તું કહે તેટલી !” અનંતની વાતથી પહેલા તો મેનેજરને ઝાટકો લાગ્યો. પછી તેની આંખો આગળ હજારની નોટો ડોકિયા કરવા લાગી. મેનેજરે કલાકની ગણતરીથી વરસો સુધી ચેતના થકી થનાર કમાણીનો હિસાબ માંડ્યો અને કહ્યું, “વીસ લાખ”  જવાબમાં “ઠીક છે.” કહી અનંત ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે વીસ લાખ રૂપિયા લઈને તે પોતાની પ્રિયતમાને આ નરકમાંથી છોડાવવા હોટલ આવી પહોંચ્યો. તેને કિંમત ચૂકવીને ચેતનાનો કાયદેસરનો કબજો મેળવ્યો. એ જ દિવસે ચેતના અને અનંતે મંદિરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા અને કોર્ટમાં નોધણી કરાવી. તે દિવસે સમાજ અને પરિવારથી તરછોડાયેલા બે પાત્રો થકી એક નવો જ પરિવાર બન્યો.

               તેમનું લગ્ન જીવન સુખેથી ચાલવા લાગ્યું. અનંતને જીવન જીવવા જેવું લાગવા લાગ્યું. ચેતના માટે પણ અનંત ખુશીઓનો દરિયો સાબિત થયો. બંનેની એકલતા અને ઉદાસીનતા દુર થઇ. પરિવારથી તરછોડાયેલા એ બે જણ થકી એક નવો જ પરિવાર બન્યો. બસ હવે આ પરિવારમાં કોઈ ખોટ હોય તો તે એક જ વાતની હતી. અને તે હતી અનંત અને ચેતનાના પ્રેમ બાગમાં એક પુષ્પ ખીલવાની. તેમને બસ હવે એક ફૂલ સમાન બાળકની જ ખોટ હતી. એ ભૂલકાના આવતા જ તેમનો પરિવાર અપૂર્ણમાંથી સંપૂર્ણ બની જવાનો હતો. બંને જણ રોજ ભગવાન પાસે હવે બસ આ એક જ ખુશી આપવા પ્રાર્થના કરવા લાગ્યા. સમય વીતતો ગયો. આજે ખુશીના સમાચાર મળે, કાલે ખુશીના સમાચાર મળે તેમ રાહ જોવામાં મહિનાઓ પસાર થઇ ગયા. ભગવાને તેમની ધીરજની કસોટી કરી. ભગવાન પરથી બંનેનો વિશ્વાસ ડગવા લાગ્યો. ત્રણ વરસ જેટલો સમય પસાર થયો. પણ ચેતનાની ગોદ સુની જ રહી. હવે બંને જણે કોઈ સારા ગાયનેક ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. એક દિવસ બંને જણ શહેરના એક પ્રખ્યાત ગાયનેક પાસે ગયા. પહેલા અનંતના રિપોર્ટ્સ કરવામાં આવ્યા. તે બધાજ નોર્મલ આવ્યા. અનંતમાં કોઈ ખામી ન હતી. હવે ચેતનાનો વારો હતો. તેના પણ રિપોર્ટ્સ કરવામાં આવ્યા. અને થયું પણ એવું જ. આ દુનિયા રૂપી શતરંજ બિછાવનાર ભગવાને રમતનો એક્કો પોતાની પાસે રાખ્યો હતો.  અને પોતે સર્વોપરી હોવાનું સાબિત કરી રહ્યો હતો. ચેતનાના રિપોર્ટ્સ કર્યા પછી ડોક્ટરે બંને જણને પોતાની કેબીનમાં બોલાવ્યા. અને નવાઈ ભરી નજરે ડોક્ટર અનંત સામે જોઈને બોલ્યા,  “તમે લોકો અમારી ડોક્ટરની મજાક કરો છો ? “ ડોક્ટરની વાત સાંભળી અનંત અને ચેતના નવાઈથી એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ કંઈ સમજ્યા નહી. અનંતે કહ્યું, “શું વાત છે સાહેબ તમે કેમ આવું બોલો છો ?”  ડોક્ટરે થોડો ગુસ્સો જતાવતા કહ્યું, “તો તમારા જેવા લોકોને બીજું શું કહું. એક તો તમે પહેલેથી જ તમારી પત્નીને બાળક ન થાય તે માટે નસબંધીનું ઓપરેશન કરવેલ છે, અને હવે રીપોર્ટ કરવો છો કે અમારે બાળક કેમ નથી થતું !” આ સંભાળીને અનંત અને ચેતનાના પગ નીચેથી જમીન ખસી ગઈ.  આ વાત તેમના માટે વજ્રઘાત જેવી હતી. બંનેજણે લાચાર ચહેરે ડોક્ટરની રજા લઇ બહાર નીકળ્યા. બંનેને હકીકત સમજવામાં વાર ન લાગી. ચેતનાને આગળ જે વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી ત્યાં નરાધમોએ ભવિષ્યના પ્રશ્નોનો વિચાર કરીને પહેલેથી જ ચેતનાનું સંતાન નિયંતિનું ઓપરેશન કરી દીધેલ હતું. ખુદ ચેતનાને પણ આ વાત યાદ ન હતી કે આ ક્યારે કરવામાં આવ્યું હતું.

                ઘરે આવીને ચેતના ખુબ રડવા લાગી.  તેને આમ રડતી જોઈને અનંત તેને પોતાની બાહોમાં લઈને સમજાવવા લાગ્યો. “તું ચિંતા ના કર ચેતના, આપણે કોઈ બીજા સારા ડોક્ટર પાસે તારું આ ઓપરેશન ખોલાવી નાખીશું.” એમ કહી ચેતનાને હૈયા ધારણ આપવા લાગ્યો. બીજા દિવસે બંને જણ બીજા ડોક્ટરને મળવા ગયા. અને ચેતનાનું ઓપરેશન ખોલવાની વાત કરી. ડોક્ટરે તપાસ કરી. પરિણામમાં ત્યાં પણ ચેતનાને આંસુ જ મળ્યા. એ ડોક્ટરે સમજાવ્યું કે આ ઓપરેશન ફરી ખોલવું શક્ય નથી. અને ખોલવા છતાં ચેતના મા બનશે જ તેવી કોઈ ખાતરી નથી. આ સમાચાર ચેતના માટે આઘાત પહોચાડનાર હતા. તે દવાખાનામાં જ અનંતના ખભા પર માથું મુકીને રડવા લાગી. અનંતે તેના માથે હાથ ફેરવી તેને પરાણે શાંત કરી. ત્યાંથી નિરાશા લઈને બંને જણ ઘરે પાછા ફર્યા. એ પછી ચેતના ઉદાસ રહેવા લાગી. અનંત તેને હિંમત આપતો અને સમજાવતો. ચેતનાને ખુશ રાખવા અનંત તેને અવાર નવાર સિનેમાગૃહમાં ફિલ્મ જોવા લઇ જતો. એકવાર બંનેજણ સિનેમાગૃહમાં ફિલ્મ જોઈને ઘરે પાછા આવી રહ્યા હતા. રસ્તામાં ચારરસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી  તેમની ગાડી સિગ્નલ પર ઉભી હતી. ત્યાં જ ચેતનાની નજર બાજુમાં આવેલા એક અનાથ આશ્રમના બોર્ડ પર પડી. તેને મનમાં અજબની ખુશી થઇ આવી. તેણે બાજુમાં બેઠેલા અનંતનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, “અનંત આપણે અનાથ બાળકને ખોળે લઈએ તો ?” એમ કહી તેણે અનંતને અનાથ આશ્રમનું બોર્ડ બતાવ્યું. અનંતે જોયુ તો ત્યાં આશ્રમમાં નાના ભૂલકાઓ દોડાદોડ કરી રહ્યા હતા. અનંતે ચેતનાના હાથ પર હાથ મુક્યો અને કહ્યું, “તું બિલકુલ સાચું કહે છે. આપણે એમ જ કરીશું. પણ એક શરત છે, આપને દીકરો નહી દીકરી દત્તક લઈશું.” અનંત અને ચેતના બંને સમાજ અને પરિવારથી તરછોડાયેલા હતા એટલા સ્વાભાવિક જ અનાથ બાળકો પ્રત્યે તેમને વિશેષ લગાવ હતો. સિગ્નલ ખુલતા જ અનંતે ગાડી અનાથ આશ્રમ તરફ વાળી. ત્યાં જઈ ત્યાના ટ્રસ્ટીને પોતાનો વિચાર જણાવ્યો. ટ્રસ્ટીએ બંનેને અભિનંદન આપ્યા અને તે માટેની કાયદેસરની કાર્યવાહી સમજાવી. ચેતના અને અનંત તેમની શરતો માટે સંમત થયા. પાછી ટ્રસ્ટી તેમને બાળક પસંદ કરવા માટે લઈ ગયા. બાળકોને જોતી વખતે ચેતનાની નજર એક તાજી જ જન્મેલી અને તરછોડાયેલી બાળકી પર પડી. તેને જોતા જ ચેતનાને તેનામાં પોતાનો ભૂતકાળ દેખાયો. ‘રખેને આ બાળકી પોતાની જેમ કોઈ પાપીને હાથ લાગીને નર્કમાં જઈ પડે !’ તેવો વિચાર આવતા જ તેણે દોડી જઈને તે બાળકીને પોતાની ગોદમાં ઉચકી લીધી અને પોતાને ગળે વળગાડી ચુંબન કરવા લાગી. બાળકની પસંદગીની વિધિ ત્યાં પૂરી થઇ. ઘરે આવીને તેમણે તે બાળકીનું ‘ચાહત’ તેવું મીઠું નામ પડ્યું. અને તે ચાહતના આવવાથી ચેતના અને અનંતનો અધુરો પરીવાર પુરો થઇ ગયો.

               વર્તમાન સમયમાં સમાજમાં પોતાના લોકો પોતાના લોકોને તરછોડી મુકે છે. ત્યારે આવા તરછોડાયેલા જીવ ભેગા મળીને એક નવો જ પરિવાર બનાવે છે. આ જ તો કુદરતની કમલ છે અને ઈશ્વરની સર્વોપરીતાનું એક ઉદાહરણ. દુનિયામાં મા-બાપ જયારે સંતાનને તરછોડી મુકે છે ત્યારે અનાથ આશ્રમ ઉભા થાય છે. અને જયારે સંતાન મા-બાપને તરછોડી મુકે છે ત્યારે વૃદ્ધાશ્રમો ઉભા થાય છે. આ બંને ભારત માટે કલંક સમાન છે. હે ભગવાન કૈક એવું કર કે સંતાનોનો અંતર આત્મા જાગે અને ભારતના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઇ જાય. અને કૈક એવું કર કે મા-બાપનો અંતર આત્મા જાગે ને ભારતના તમાં અનાથ આશ્રમો બંધ થઇ જાય. અને જયારે ભારતમાં આવું થશે ત્યારે મારો કૃષ્ણ કનૈયો જરૂ એ ભારતને જોવા પાછો અહી અવતરશે.

સમાપ્ત.

= “શ્રીપતિ”

= વિષ્ણુ દેસાઈ.

                

!! તલાશ !! (એક મિલન કહાની) = “શ્રીપતિ”

 

Image

 !!  તલાશ !!

(એક મિલન કહાની)

 

= “શ્રીપતિ”

               પ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું હતું. ‘શ્રીપતિ’એ કવર ખોલીને વાર્તા વાંચવાની શરુ કરી. વાર્તા આ મુજબ હતી.

              “મોનિકાને શિખર આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા. મોનિકાના પિતા હસમુખભાઈ આર્મીમાં હતા. આજથી બાર વરસ પહેલા અમદાવાદ પાસેના વડસર એરફોર્સ કેમ્પ ખાતે તેમનું પોસ્ટિંગ થયું હતું. તેઓ ફેમીલી સાથે અમદાવાદ ચાંદલોડિયામાં સ્થિર થયા. ચાંદલોડિયાના શીવકેદાર ફ્લેટમાં તેમણે મહાન રાખ્યું હતું.  તેઓ જયારે અહી રહેવા આવ્યા ત્યારે પહેલી જ ઓળખાણ પડોશી તરીકે અને પોતાની જ જ્ઞાતિના લોકો તરીકે શિખરની મમ્મી સાથે થઇ હતી. મોનિકાની મમ્મીએ શિખરની મમ્મીને મોનિકા માટે નજીકની કોઈ સારી સ્કુલ વિશે પૂછ્યું હતું. શિખરની મમ્મીએ તેમને શિખર જે સ્કુલમાં ભણતો હતો તે દુર્ગેશ પ્રા.શાળાનું નામ જણાવ્યું અને કહ્યું, મારો શિખર પણ તેજ સ્કુલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. બસ મોનિકાનું પણ એ જ સ્કુલમાં એડમિશન થઇ ગયું. બીજા દિવસથી શિખરને સ્કુલે જવા માટે મોનિકાની કંપની મળી ગઈ. બંને સાથે જ સ્કુલ જતા અને આવતા. બંને મિત્રો બની ગયા. ત્યારથી માંડીને આજ સુધી તેઓ મિત્રો જ રહ્યા. અને આજે બંને જણ એલ.ડી.આર્ટસ કોલેજમાં બી.એ.ના છેલ્લા વરસમાં સાથે ભણતા હતા. આજે બંને જણ શિખરની બાઈક પર સાથે જ કોલેજ જાય છે અને આવે છે. ઘણીવાર તેઓ રસ્તામાં આવતા ગજરાજેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા. આમ પણ શિખરનો અહી આવવાનો નિત્યક્રમ હતો. તેમાં મોનિકા પણ સાથે હોતી. કોઈએ સાચુજ કહ્યું છે કે, “બાળપણની મિત્રતા એ યુવાનીના પ્રણયનું પ્રવેશ દ્વાર છે.” બારમું ધોરણ પૂરું કરીને કોલેજના પ્રથમ વરસમાં આવ્યા ત્યારથી જ શિખર મોનિકા તરફ આકર્ષાવા લાગ્યો હતો. પણ તે મોનિકાને કહી શકતો ન હતો. એ ડરતો હતો કે ક્યાંક પ્રેમનો એકરાર કરવા જતા બાળપણની મિત્ર ગુમાવવાનો વારો આવે તો ! તેણે પોતાની લાગણીઓ મનમાં જ દબાવી રાખી. એમ કરતા બે વરસ પસાર થઇ ગયા.

               હવે કોલેજનું છેલ્લું વરસ હતું. બંનેને સાથે આવવા જવાની છેલ્લી તક. કોલેજ પૂરી થયા પછી બંને આવી રીતે સાથે હરી ફરી શકવાના ન હતા. શિખરને હમેશાં મોનીકાથી છુટા પડી જવાનો ડર રહેતો. એક દિવસ કોલેજમાં મોનિકાના વિચારોમાં ખોવાયેલા શિખરને તેના મિત્ર રજતે જોઈ લીધો. તેણે આવીને શિખરને ઢંઢોળ્યો, “કોના વિચારોમાં ખોવાયા છો ભાઈ !” રજત શિખરનો વિશ્વાસુ મિત્ર હતો. શિખરને રજત પાસે સલાહ લેવાનું યોગ્ય લાગ્યું. તેણે રજતને પોતાની પાસે બેસાડી પોતાના મનની બધી જ મુંઝવણ કહી નાખી. અને મોનિકાને પોતાની લાગણી કેમ કરી વ્યક્ત કરવી તેનો ઉપાય બતાવવા કહ્યું. રજતે શિખરને પૂછ્યું, “શું તને મોનિકાના મનની ખબર છે, કે તેના મનમાં તારા માટે શું છે ?” “આવો તો મને કોઈ અંદાજ નથી, પણ હા એ મને પસંદ કરતી હોય એવું મને લાગે છે કેમકે તે હમેશા બીજા આગળ મારા સારા વ્યક્તિ તરીકે વખાણ કરતી હોય છે.” શિખરે જવાબ આપ્યો. રજતે શિખરને કહ્યું, “જો શિખર તું અને મોનિકા બાળપણના મિત્રો છો. અને એ તને સારી રીતે ઓળખે છે. તું બસ એકવાર હિમત કરીને તારા મનની વાત એને કહી દે, પછી જો તેને ના ગમે તો મિત્ર તરીકે સોરી કહીને મનાવી લેજે.” શિખરે કહ્યું, “મને ડર છે રજત, ક્યાંક તેનો પ્રેમ મેળવવા જતા તેની મિત્રતા ન ગુમાવી બેસું !” હવે બંને મોનિકાને શિખરના મનની વાત કેમ કરવી તેનો ઉપાય શોધવા લાગ્યા. અચાનક રજતને એક આઈડિયા આવ્યો. તેણે શિખરને કહ્યું, “જો યાર કોઈ પણ છોકરી હોય તેને ગીફ્ટ હમેશા ગમતી હોય છે, તું પણ તેને કોઈ સરસ ગીફ્ટ આપીને તારા મનની વાત કરી નાખ.” શિખરે કહ્યું, “યાર રજત ફેસ તું ફેસ કહેવાની મારી હિંમત નહી ચાલે, તું બીજો કોઈ રસ્તો બતાવ પ્લીઝ.” રજતે કહ્યું, “એનો પણ ઉપાય છે મારી પાસે, થોડા દિવસ પછી વેલેન્ટાઇન ડે આવે છે.  આ દિવસે કોઈ છોકરી કોઈ છોકરાને ના નહી ખે તું બસ આ દિવસની તક ઝડપી લે.” બસ પછી બંને જને વેલેન્ટીન દેને લઈને એક પ્લાન બનાવ્યો અને તે દિવસની રાહ જોવા લાગ્યા.

               વેલેન્ટીન ડેના દિવસે શિખરે બજારમાંથી એક સરસ મજાની ગીફ્ટ ખરીદી અને તેની સાથે એક ગ્રીટિંગકાર્ડ લીધું જેની અંદરનું લખાણ શિખરના પ્રેમને વાચા આપતું હતું. આ ગીફ્ટની સાથે શિખરે એક લેટર પણ મુક્યો જેમા લખ્યું હતું,

“મોનિકા આઈ લવ યુ, હું જાણું છું કે કદાચ આ મારી પ્રેમ વ્યક્ત કરવાની સાચી રીત નથી. પણ શું કરું મને તારી રૂબરૂ કહેતાની હિંમત નથી. એટલે આ રીતે મારું નામ આપ્યા વગર મારા પ્રેમનો ઈકરાર કરું છું. હું તારા માટે અજાણ્યો નથી. કદાચ આટલી વાતમાં જ તું મને ઓળખી જઇશ. જો તને મારો પ્રસ્તાવ કબુલ હોય તો આજે સાંજે છ વાગે આપણા ગજરાજેશ્વ્રર મહાદેવના મંદિરે હું તારી રાહ જોઇશ. તું આવીશ તો હું માનીશ કે તને મારો પ્રેમ કબુલ છે, અને નહી આવીશ તો હું માનીશ કે તું મારા નસીબમાં નથી.”

 = અનામી.

                આ મુજબ પ્લાનીંગ કરીને શિખર મોનિકાના ઘરની નજીક તેના મમ્મી-પપ્પાના બહાર જવાની રાહ જોવા લાગ્યો. થોડીવાર થઈને મોનિકાનામમ્મી-પપ્પા બહાર જવા માટે નીકળ્યા. આ તક જોઈને શિખરે પોતાની ગીફ્ટ મોનિકાના ફ્લેટના બંધ દરવાજાની બહાર મુકીને ડૂર બેલ વગાડી મોનિકા દરવાજો ખોલે તે પહેલા ત્યાંથી નીચે ઉતરી ગયો. મોનિકા એ દરવાજો ખોલ્યો તો બહાર કોઈ ન હતું, પણ દરવાજા બહાર એક ગીફ્ટ પડી હતી. તેની નવાઈનો પર ના રહ્યો. તેણે ગીફ્ટ હાથમાં લીધી. તેણે ખોલીને તેની અંદરનો લેટર વાંચવા લાગી. એટલામાં જ બહાર જવા નીચે ઉતરેલા મોનિકાના પપ્પા પોતાનો ભૂલાઈ ગયેલો મોબાઈલ લેવા પાછા ઉપર ઘરે આવ્યા. ત્યારે મોનિકાના હાથમાં ગીફ્ટ અને પેલો લેટર જોઈને તેમના ગુસ્સાનો પર ના રહ્યો. તેમણે મોનિકાના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. મોનિકાએ તેના પપ્પાને પોતાની નિર્દોષતા સમજાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ તેઓ મોનોકાની કોઈ વાત સાંભળવા માટે તૈયાર ન હતા. તે મોનિકાને ઠપકો આપી રહ્યા હતા, “નાલાયક, અમારા પ્રેમ અને વિશ્વાસનો તે આ બદલો આપ્યો. આ બધું કરવા માટે તું કોલેજ જાય છે ! કાલથી તારૂ કોલેજ જવાનું બંધ.” આ બધી તકરાર ચાલુ હતી ત્યાં મોનિકાના પપ્પાને કેમ વાર લાગી તેમ વિચારી નીચેથી તેના મમ્મી પણ ઉપર પાછા આવ્યા. તેમણે મોનિકાને તેના પપ્પા પાસેથી છોડાવી અને મોનિકાના પપ્પાને શાંત કર્યા. પછી તેમણે પેલો લેટર વાંચ્યો. તેમણે મોનિકાને પૂછ્યું, “ આ કોણ છે ?” મોનિકાએ રડતા મુખે જવાબ આપ્યો, “મમ્મી ખરેખર મને કશી જ ખબર નથી.” હું તો કોઈને ઓળખતી પણ નથી. મોનિકાની મમ્મીને મોનિકાનો વિશ્વાસ થયો. તેમણે સાંજે ગજરાજેશ્વારના મંદિર જઈને આ છોકરાને રૂબરૂ જ પકડવાનું નક્કી કર્યું.

              આ બધી પરિસ્થિતિ અજાણ શિખરને એ આખો દિવસ ચેન ના પડ્યું. તે તો સાંજે પાંચ વાગે જ ગજરાજેશ્વર મહાદેવના મંદિરે પહોચી મોનિકાના આવવાની રાહ જોવા લાગ્યો. લગભગ સવા છ થવા આવ્યા. શિખરની ધીરજની કસોટી થઇ રહી હતી. શિખરની નજર મંદિરના મુખ્ય દરવાજા પર જ મંડાયેલી હતી. ત્યાંજ મોનિકાએ પ્રવેશ કર્યો. તેને જોઈને શિખરની ખુશીનો પાર ના રહ્યો. પણ તેનો આ આનંદ જાઝો સમય ટક્યો નહી. બીજી જ ક્ષણે તેણે મોનિકાની પાછળ તેના મમ્મી-પપ્પાને આવતા જોયા. ત્રણેયના ચહેરા ગંભીર અને ગુસ્સામાં હતા. શિખર સમજી ગયો કે કંઇક ગડબડ થઇ લાગે છે. નહિતર મોનિકા તેના મમ્મી-પપ્પા સાથે ના આવે. તે ધીમે રહીને મંદિરના પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો. મોનિકા અને તેના મમ્મી-પપ્પા મંદિરના ઓટલા પર બેઠા. થોડીવાર પછી શિખર જાણે હમણાં જ મંદિરમાં આવતો હોય તેમ મંદિરમાં પ્રવેશ્યો. અને મોનિકાના મમ્મી-પપ્પા જ્યાં બેઠા હતા ત્યાજ તેમની પાસે ગયો. મોનિકાના મમ્મી-પપ્પા તેને નાનપણથી જ ઓળખાતા હતા એટલે તેમને શિખર પર સહેજે વ્હેમ ના ગયો. મોનિકા પણ શિખર પર વહેમાય તેમ ન હતી. શિખરે પાસે જઈને મોનિકાના મમ્મી-પપ્પાને પૂછ્યું, “શું વાત છે, આજે આખો પરિવાર ફરવા નીકળ્યો છે !” મોનિકાના મમ્મીએ આ બાબતમાં મદદ માટે શિખરને આખી હકીકત કહી સંભળાવી અને કહ્યું, “અમારે તે નાલાયક છોકરાને પકડવો છે. શું તને તમારી કોલેજના કોઈ છોકરા પર શંકા છે જે આવું કરી શકે !” શિખરે માત્ર માથું હલાવીને ના કહી. થોડીવાર શિખર પણ ત્યાં એમની પાસે રોકાયો. આખરે એક કલાક પછી બધા વિખેરાઈ ગયા.

               શિખરના પસ્તાવાનો પર ના રહ્યો. પોતાની ભૂલના કારણે મોનિકાને ભોગવવાનો વારો આવ્યો. આ બાબતને લઈને મોનિકા અને તેના પપ્પા વચ્ચે થતા ઉગ્ર ઝઘડાને લીધે ફ્લેટમાં પણ બધા લોકો આ વાત જાણી ગયા. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. મોનિકાનું કોલેજ જવાનું તો બંધ જ થઇ ગયું. શિખરની વ્યથાનો પાર ના રહ્યો. પણ સત્યનો સામનો કરવાની તેની હિંમત ન હતી. તેને ક્યાય ચેન પડતું ન હતું. તેની ભૂલ તેના માટે માથાનો દુખાવો બની ગઈ. મોનિકાનો સાથ છૂટી ગયો. તે ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો. તેની માઠી અસર તેના શિક્ષણ ઉપર પણ થઇ. શિખરની આ મનોદશા તેની મમ્મીના ધ્યાન પર આવી. એક દિવસ તેની મમ્મીએ તેને પોતાની પાસે બેસાડી પ્રેમથી પૂછ્યું, “શું વાત છે બેટા,કોઈ ચિંતામાં છે ? આટલો નિરાશ અને ઉદાસ કેમ છે ?” પહેલા તો તેણે કંઈ નહી કહી વાત ઉડાડવાનો પ્રયત્ન કર્યો. પણ પોતાની મમ્મીના પ્રેમભર્યા આગ્રહ અને પોતાના દિલમાં ભરાઈ રહેલા બોઝથી તે ભાંગી પડ્યો. અને પોતાની મ્મ્મ્મી આગળ દિલ ખોલીને રડી પડ્યો. “મમ્મી મને મોનિકા ખુબ ગમે છે. હું તેને મારી જીવનસંગીની બનાવવા ઈચ્છું છું.” શિખરની વાત સંભાળીને તેના મમ્મી હસી પડ્યા અને કહેવા લાગ્યા, “બસ આટલી વાત તો તેમાં છોકરીની જેમ રડે છે શું !” મને પણ મોનિકા બહુ પસંદ છે. હું પણ તેને આપણા ઘરની વહુ બનાવવા માંગું છું. હું જાતે જ મોનિકાના પરિવાર સમક્ષ તારા અને મોનિકાના સબંધની વાત મુકવાની છું.” આટલું સાંભળીને તો શિખરથી ખુશીથી ઉછળી જ પડ્યો.

               બીજા દિવસે શિખરના મમ્મી-પપ્પા આ બાબતે મોનિકાના મમ્મી-પપ્પાને મળવા ગયા. તેમણે મોનિકાના મમ્મી-પપ્પા પાસે શિખર માટે મોનિકાનો હાથ માંગ્યો. બંને પરિવાર આધુનિક વિચારસરણીવાળા હતા. મોનિકાનો પરિવાર વરસોથી શિખરના પરિવારને ઓળખતો હતો અને શિખરને પણ. વળી બનેની જ્ઞાતિ અને સમાજ પણ એક જ હતા તેથી બીજો કોઈ વાંધો પણ ન હતો. તેમ છતાં તેમણે મોનિકાની મરજી જાણીને જવાબ આપવાનું જણાવ્યું. એ દિવસે સાંજે જમતી વખતે મોનિકાની મમ્મીએ મોનિકાને શિખર સાથે તનો સબંધ કરવા બાબતે તેની મરજી પૂછી. મોનિકા બાળપણથી ઓળખતી હતી. તેથી તેને હા પાડવામાં બીજો કોઈ વાંધો પણ ન હતો. શિખર તેની દરેક વાતથી માહિતગાર હતો વળી શિખરમાં બીજો કોઈ દોષ પણ હતો. તેથી તેણે આ સબંધ માટે હા પાડી. જયારે મોનિકાના પરિવારે આ સમાચાર શિખરના પરિવારને કહ્યા ત્યારે તેમના ઘરમાં તો જાણે ખુશીનું વાવાઝોડું જ ફૂંકાઈ રહ્યું. શિખરની તો ખુશીનું ઠેકાણું જ ના રહ્યું. તેણે જાણે આખી દુનિયા જીતી લીધી હોય તેવી ખુશી થઇ. આખરે સારો દિવસ અને મુહુર્ત જોઈને શિખર અને મોનિકાની સગાઈ કરવામાં આવી.  અને સગાઈના દિવસે જ કોલેજ પૂરી થાય એટલે બંનેના લગ્ન કરવાનું પણ નક્કી ગોઠવાઈ ગયું. હવે શિખરના આગ્રહથી મોનિકાનું ફરી કોલેજ આવવાનું શરુ થયું. મોનિકાની ખુશીનો પણ પાર ન રહ્યો. તેને પણ હવે જીંદગી જીવવા જેવી લાગવા લાગી. પણ મોનિકા હજી શિખરની ગીફ્ટવાળી હરકતથી અજાણ હતી. અને શિખરે પણ તેને કશું કહ્યું નહી.

               આખરે કોલેજનું છેલ્લું વરસ પૂરું થયું અને શિખર અને મોનિકાના લગ્નની તૈયારીઓ ધૂમ-ધામથી થવા લાગી. શિખર અને મોનિકા તેમના લગ્નની ખરીદીમાં વ્યસ્ત થઇ ગયા. ખરીદી કરવા પણ બંને સાથે જ જતા. શિખરના પરિવારે લગ્ન નિમિતે મોનિકા માટે એક હર બનાવવાનું નક્કી કર્યું હતું. તેમની ઈચ્છા હતી કે હારની ડીઝાઈન પણ મોનિકા જાતેજ પસંદ કરે. આ બાબતે શિખર મોનિકાને લઈને જવેલર્સમા ગયો. મોનિકાએ પોતાની મનગમતી ડીઝાઈન પસંદ કરી. બંને બજારથી પાછા ફર્યા. ત્યાં રસ્તામાં પેલું ગજરાજેશ્વર મહાદેવનું મંદિર આવ્યું. મોનિકાએ આગ્રહ કરતા બંને જણ મંદિરમાં દર્શન કરવા ગયા. એક વખત પોતાના પ્રેમના ઈકરાર માટે શિખરે મોનિકાને આ મંદિરમાં બોલાવી હતી, જયારે આજે એ મોનિકા જાતે જ શિખરને આ મંદિરમાં લઇ આવી હતી. શિખરને મનમાં લાગ્યું કે મારી ભૂલના લીધે મોનિકાને ખુબ સહન કરવું પડ્યું. મારે તેની માફી માગવી જોઈએ. શિખર અને મોનિકા દર્શન કરીને મંદિરના ઓટલા પર બેઠા. ત્યારે શિખરે મોનિકાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, “મોનિકા, મારે તને એક વાત કરવી છે.” “ હા તો બોલને શું કહેવું છે !” મોનિકા એ કહ્યું.  શિખરે કહ્યું, “મોનિકા મારાથી એક ભૂલ થઇ ગઈ છે. મે તારો ગુન્હો કર્યો છે. મારે તારી માફી માંગવાની છે” આ સાંભળી મોનિકા હસી પડી અને બોલી, “ હા તો ચલ હવે કાન પકડ અને ઉઠક બેઠક ચાલુ કર.”  શિખરે કહ્યું, “પહેલા મારો અપરાધ તો સાંભળી લે.” મોનિકા બોલી, “મારે કંઈ સંભાળવું નથી. મને તારાથી કોઈ ફરિયાદ નથી.” શિખરે કહ્યું, “ હું જાણું છું તું ખુબ ઉદાર દિલની છે. પણ જ્યાં સુધી હું તને કહીશ નહી ત્યાં સુધી મારા મનને શાંતિ થશે નહી. પ્લીઝ મને કહી દેવા દે.” મોનિકા બોલી, “ઓ કે બોલ, શું કહેવું છે ?” શિખરે મોનિકા સામે નજર મીલાવ્યા વિના જ નીચી નજરે અથી લઈને ઇતિ સુધીની બધી હકીકત મોનિકાને કહી સંભળાવી. મોનિકા ચુપ ચાપ બધું સાંભળી રહી. શિખરે જયારે પોતાની વાત પૂરી કરીને મોનિકા સામે જોયું ત્યારે તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ બની ગયો હતો. શિખર મોનિકાને વધુ કશું કહે તે પહેલા જ મોનિકા ત્યાંથી ઉઠીને ચાલવા લાગી. શિખરે મોનિકાનો હાથ પકડી તેને રોકવાની કોશિશ કરી. ત્યારે મોનિકાએ શિખરના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. અને ચાલતી થઇ. શિખર તેને હાથ જોડી જોડીને મનાવી રહ્યો. પણ મોનિકાએ તેની એક ના સાંભળી. મોનિકા શિખરને ત્યાંજ રડતો મુકીને પોતે પણ રડતા મુખે પોતાના ઘરે ચાલી ગઈ.

               શિખર પોતાના અપરાધ બદલ પસ્તાવો કરતો ત્યાજ રડતો બેસી રહ્યો. આ બાજુ રડતી હાલતમાં ઘરે આવેલી મોનિકાને જોઈને તેના મમ્મી-પપ્પાએ  તેને રડવાનું કારણ પુછ્યું, ત્યારે મોનિકા એ બધી જ હકીકત તેમણને કહી સંભળાવી. આ સંભાળીને આર્મીમેન મોનિકાના પપ્પાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. જેને લીધે સમાજ અને સોસાયટીમાં મોનિકાની બદનામી થઇ હતી,એ જ વ્યક્તિ સાથે તેઓ મોનિકાનું જીવન જોડવા જઈ રહ્યા હતા. ગુસ્સાભર્યા મોનિકાના પપ્પા મંદિરે આવ્યા. શિખર ઉદાસ ચહેરે હજી ત્યાંજ બેઠો હતો. મોનિકાના પપ્પાએ ત્યાં જઈ શિખરને કોલરથી પકડ્યો અને અપશબ્દો બોલીને તેને મારવા લાગ્યા. આ સમાચાર શિખરના પરિવારને મળતા તેનો આખો પરિવાર પણ ત્યાં પહોંચી ગયો. બંને પરિવાર વચ્ચે ઉગ્ર ઝઘડો થઇ ગયો. મારામારી થઇ ગઈ. શિખર અને મોનિકાના લગ્ન તો બાજુમાં રહ્યા સગાઈ પણ તૂટી ગઈ. શિખર કરગરીને પોતાની ભૂલ બદલ માફી માંગતો રહ્યો. પણ મોનિકાનો પારવાર રાજી ના થયો. એ પછી તો અવર નવાર આ બે પડોશી પરિવાર વચ્ચે કોઈના કોઈ બહાને ઝઘડા થવા લાગ્યા. થોડા દિવસ પછી મોનિકાનો પરિવાર ત્યાંથી મકાન બદલીને બીજે ક્યાંક ચાલ્યો ગયો. આજે એ વાતને ચાર વરસ થઇ ગયા. પણ મોનિકાના કોઈ સમાચાર ના મળ્યા. શિખરનું જીવન આજે જળ વગરની માછલી જેવું થઇ ગયું છે. તેના મમ્મી-પપ્પા તેને બીજે લગ્ન કરી લેવા ખુબ સમજાવે છે. પણ તે તૈયાર નથી. છેવટે શિખરનો પરિવાર પણ શિખરને મોનિકાની યાદમાંથી મુક્ત કરાવવા આ સ્થળ છોડીને બીજે ક્યાંક ચાલ્યો ગયો.

Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ  Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ Þ  Þ Þ Þ Þ  Þ Þ

                કવરમાંની વાર્તા પૂરી થઇ. લેખક “શ્રીપતિ”ને વાર્તામાં રસ પડ્યો.પણ વાર્તા અધૂરી રહી. તેનું રહસ્ય અંકબંધ રહ્યું. તેમણે જોયું કે વાર્તા મોકલનારે વાર્તાના અંતમાં પોતાનો કોન્ટેક્ટ નંબર લખ્યો હતો. તેમણે તરત જ તે નંબર પર ફોન લગાવ્યો. સામેછેડે જયારે ફોન ઉપાડ્યો ત્યારે “શ્રીપતિ”એ કહ્યું,  “હું ગુજરાત સમાચારમાંથી “શ્રીપતિ” બોલું છું. મને આપના તરફથી એક વાર્તા મળી છે. વાર્તા સરસ છે. પણ તે અધૂરી લાગે છે. તો આપ કૃપયા મને આખી વાર્તા જણાવો, જેથી મને વાર્તાનો અંત લખતા ફાવે.” ફોન ઉપાડનાર વ્યક્તિએ જવાબ આપ્યો, “શ્રીપતિ સાહેબ, વાર્તા આટલી જ છે. અને આ વાર્તા નથી પણ મારા જ જીવનની સત્યઘટના છે. હું જ એ કમનસીબ શિખર છું. આગળ આપને જેમ ઠીક લાગે તેમ આગળની વાર્તા આપ આપની કલ્પનાથી પૂરી કરી દો.” “શ્રીપતિ’ ને નવાઈ સાથે દુખ પણ થયું. તેમણે શિખરને પુછ્યું,”શું ખરેખર મોનિકાનો કોઈ અત્તો-પતો નથી ! તમે મોનિકાને શોધી કેમ નહી ?” શિખર ફોન પર રડી પડ્યો, “મે ખુબ પ્રયત્ન કર્યો પણ એ પછી મોનિકા કે તેના પરિવારની ક્યાય ભાળ ના મળી.” “શ્રીપતિ”એ શિખરને આશ્વાસન આપ્યું અને ફોન મુક્યો. પછી તેઓ આ વાર્તાનો શું અંત હોઈ શકે તેના વિશે વિચારવા લાગ્યા. પણ તેમને એવી કોઈ બંધ-બેસતી કડી મળી નહી જે આ વાર્તાને યોગ્ય અંત આપી શકે. તેમણે એ પછીના બુધવારે આ અધૂરી વાર્તાને સુધાર્યા વગર શિખરના શબ્દોમાં જ એજ નામ ઠામ સાથે પોતાની કોલમમાં છાપી દીધી. તેમણે વિચાર્યું કે આવતા અંક સુધીમાં તેનો કોઈ બંધ બેસતો બીજો ભાગ વિચારી લઇશું.

               તે પછીના શુક્રવારે “શ્રીપતિ” તેમને મળેલી અને પોતે અડધી પેપરમાં છાપેલી શીખરવાળી વર્તાનો શેષભાગ લખવા માટે બેઠા. પણ કંઈ સુઝતું ન હતું. ત્યાજ બહાર ટપાલીએ બુમ મારી. બહાર આવીને તેમણે જોયું તો તેમના માટે એક ટપાલ આવેલી હતી. તેમણે કવર ખોલીને જોયું તો કોઈ વાચકે તેમની બુધવારે પેપરમાં છપાયેલી અધૂરી વાર્તાના અનુસંધાનમાં વાર્તા વિશેનો સંભવિત શેષ ભાગ લખીને મોકલ્યો હતો. તેમણે તે વાંચવાનું શરુ કર્યું……..

 

          

              “ચાંદલોડિયા છોડીને ચાલ્યા ગયેલા મોનિકાના પિતાએ પોતાનું ટ્રાન્સફર બનાસકાંઠાના હાલના સુઇગામ તાલુકાના સરહદી ગામ નડાબેટ ખાતે કરાવી હતી. આ વિસ્તાર ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે. અહી આર્મીનો મોટો કેમ્પ છે. આ જ સ્થળે ઇતિહાસમાં પોતાની બહેન જાસલને સિંધના પાપી હમીર ચુમરાના હાથમાંથી છોડાવવા નીકળેલા જુનાગઢના રાજા રા’નવઘણને મદદ કરનાર મા નડેશ્વરી માતાનું ભવ્ય મંદિર છે. આજુ-બાજુ સેકડો કિલોમીટર ખરાપટથી ઘેરાયેલા આ રણ વિસ્તારમાં માત્ર આ જ એક સ્થળે મીઠું પાણી છે. જે મા નડેશ્વરીનો ચમત્કાર છે. કહેવાય છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે આ માતાજીએ પરચા પુરીને ભરતના સૈનિકોને મદદ કરી હતી. ત્યારથી માંડીને આજ સુધી આ મંદિરમાં માતાજીની સેવા પૂજા આર્મીના જવાન ભાઈઓ જ કરે છે. અહી આવ્યા પછી મોનિકાએ શિખર સાથેના પોતાના જીવનના ભૂતકાળને ભુલવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ તે ભૂલી શકી નહી. ઘણીવાર તે નડેશ્વરીના મંદિરમાં માતાજી આગળ રડી પડતી.

               એક વખત તેની આ સ્થિતિ મંદિરના એક વૃદ્ધ પુજારી જોઈ ગયા. તેમણે મોનિકાને શાંત પડી અને આમ રડવાનું કારણ પૂછ્યું. મોનિકાએ તેમને બધી જ હકીકત કહી સંભળાવી. એ સાંભળ્યા બાદ પુજારીબાપાએ  તેને આશ્વાસન આપતા કહ્યું, “બેટા ભૂલ તો તારી જ છે. ચપટીના ચોરને તે ફાંસીની સજા આપી દીધી. તને એની લાગણીઓની સહેજ પણ કદર ન થઇ. તે સાચો હતો એટલે તેણે તને બધી હકીકત ભુલ સમજાઈ હતી. પુજારીબાપાએ તેને કહ્યું, “આ માતાજી પર શ્રદ્ધા રાખ બેટા સૌ સારા વન થશે.” શિખર વગર મોનિકાની આ પરિસ્થિતિ જોઈને તેણે મમ્મી-પપ્પાને પણ લાગ્યું કે મોનિકા શિખરને ભૂલી શકી નથી. તેમણે તેને બીજે સગાઈ કરવા ખુબ સમજાવ્યું પણ તે તૈયાર ના થઇ. તે બસ શિખરને જ ઝંખતી રહેતી હતી. તેની આ દશા જોઈને તેના મમ્મી-પપ્પને લાગ્યું કે મોનિકાની ખુશીનો હવે એક જ રસ્તો છે, શિખર સાથે તેનો સબંધ ફરી જોડવો. આ માટે તેઓ માફી માંગવાની તૈયારી સાથે શિખરના પરિવારને મળવા અમદાવાદ ચાંદલોડિયા આવ્યા. પણ અહી આવ્યા પછી તેમને ખબર પડી કે શિખરનો પરિવાર તો ચાંદલોડિયા છોડીને ક્યાંક બીજે ચાલ્યો ગયો છે. અને તેઓ ક્યાં ગયા છે તેની પણ કોઈને ખબર ન હતી. મોનિકાના પપ્પા નિરાશ થઈને અમદાવાદથી પાછા ફર્યા. બસ છેલા ચાર વરસથી શિખરના પ્રેમ માટે ઝૂરતી મોનિકા આમ જ તેની રાહ જોતી જીવન વિતાવી રહી છે. અને દર રવિવારે મંદિર આવીને માતાજીને પ્રાર્થના કરતી રહે છે .”

 

 

               આ વાર્તા લખી મોકલનારે વાર્તા અંતમાં પોતાનું નામ કે નંબર લખ્યા હતા. પણ વાર્તાનો આ ભાગ શિખરની અધૂરી વાર્તા સાથે બરાબર બંધ બેસતો હતો. “શ્રીપતિ”ને શંકા ગઈ કે આ શેષ ભાગ લખી મોકલનાર કાંતો મોનિકા પોતે હોવી જોઈએ અથવા તેના વિશે જાણનાર તેની કોઈ નજીકની વ્યક્તિ હોવી જોઈએ. તેમણે ટપાલના ક્વરને બરાબર ધ્યાનથી જોયું તો કવર પર પોસ્ટનો સિક્કો વાગેલો હતો. તેમને ધ્યાનથી જોયું તો ખબર પડી કે ટપાલ નડાબેટથી જ પોસ્ટ થયેલી હતી. તેમની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ કે મોનિકા નડાબેટમાં જ છે. તેમણે તરત જ શિખરને ફોન લગાવ્યો અને આખી હકીકત સમજાવતા કહ્યું, “વાર્તાનો શેષ ભાગ લખી મોકલનાર વ્યક્તિ મોનિકા જ હોવી જોઈએ તેવી મને પાકી શ્રદ્ધા છે. તેના કહેવા પ્રમાણે તે દર રવિવારે નડાબેટના નડેશ્વરીમાતા મંદિર આવે છે. પરમ દિવસે રવિવાર છે. તમારે ત્યાં જવું જોઈએ કદાચ તમારી મોનિકા તમને ત્યાં મળી જાય. “શ્રીપતિ”ની વાત પર શિખરને વિશ્વાસ બેઠો. તેણે આખી વાત પોતાના પરિવારને જણાવી. પોતાના દીકરાની ખુશી માટે શિખરનો પરિવાર ભારત પાકિસ્તાનની બોર્ડર પર તો શું છેક પાકિસ્તાન જવા તૈયાર હતો. તેમણે રવિવારના દિવસે નડાબેટ જવાનું નક્કી કર્યું. તેમણે લેખક “શ્રીપતિને પણ આગ્રહ કરીને સાથે લીધા. “ શ્રીપતિ” પણ આ આખી પ્રેમ કહાણીના સાક્ષી બનવા ઉત્સાહી હતા તે પણ શિખરના પરિવાર સાથે નડાબેટ ગયા.

               રવિવારે તેઓ સવારે વહેલા અમદાવાદથી ગાડી લઈને નડાબેટ જવા નીકળ્યા. લગભગ ત્રણસો કિલોમીટરનું અંતર હતું. આખે રસ્તે શિખર અને તેનો પરિવાર ભગવાનને કરગરતો રહ્યો કે મોનિકા મળી જાય. લગભગ બપોરે બાર વાગે તેઓ નડાબેટ પહોંચ્યા. રવિવાર હોવાથી યાત્રીઓની ખુબ ભીડ હતી. માતાજીને બપોરનો થાળ ધારાવાઈ રહ્યો હતો. શિખરની નજર આ ભીડમાં મોનિકાને જ શોધી રહી હતી. થાળ પુરો થતા પ્રસાદ વહેચવાનું શરુ થયું. પ્રસાદ વહેચનાર વ્યક્તિ જયારે પ્રસાદ વહેચતી વહેચતી શિખર પાસે આવી ત્યારે એને જોઈને શિખર રીતસર બુમ જ પડી ઉઠ્યો, “મોનિકા…..” અને એ પ્રસાદ વહેચનાર બીજું કોઈ નહી પણ મોનિકા જ હતી. શિખરને જોતા જ મોનિકા પણ ગદગદિત થઇ ગઈ અને શિખરને વળગીને રડી પડી. આ દ્રશ્ય જોઈને મંદિરનું આખું વાતાવરણ ગમગીન બની ગયું. એટલામાં મોનિકાનો પરીવાર પણ ત્યાં આવી પહોચ્યો. મોનિકાના પિતાએ હાથ જોડીને શિખરની અને તેના પરિવારની માફી માગી. શિખરના પરિવારે પણ પોતાની ભૂલ કબુલ કરી. જૂની વાતો ભૂલીને શિખર અને મોનિકાના પપ્પા એકબીજાને ભેટી પડ્યા. હાજર સૌની આંખોમાં આંસુ હતા. મોનિકાની માતાજી પરની શ્રદ્ધા ફળી. બંને પરિવારે લેખક “શ્રીપતિ”નો ખુબ ખુબ અભાર માન્યો તેમના થકી જ આ છૂટી પડેલી સારસ બેલડી ફરી મળી હતી. પછી તો ત્યાજ બંને પરિવારે ભેગા મળીને આવતી પૂનમે નડેશ્વરીના ચરણોમા જ શિખર અને મોનિકાના લગ્ન કરવાનું નક્કી કર્યું. સાંજે શિખરનો પરિવાર “હવે પૂનમના દિવસે જાન જોડીને આવશું” તેમ કહી છુટા પડ્યા અને પાછા આવવા રવાના થયો. સવારે રડતો નીકળેલો શિખરનો પરિવારસાંજે  હસતા મુખે પાછો ફર્યો. ઘરે પાછા આવીને “શ્રીપતિ” તરત જ કાગળ અને પેન લઈને શિખર અને મોનિકાની અધૂરી વાર્તા પૂરી કરવા બેસી ગયા. બીજા બુધવારે વાર્તાનો શેષ ભાગ પેપરમાં છપાયો. જેમાં નીચે “શ્રીપતિ”એ લખ્યું હતું…….સત્યઘટના…..!

 

 

                    થોડા દિવસ પછી “શ્રીપતિ’ને ટપાલમાં એક કવર મળ્યું. એ જોઈને તેઓ ગભરાયા, પણ કવર ખોલીને વાંચ્યા પછી હસવા લાગ્યા. તે કવરમાં કોઈ શિખર અને મોનિકાની પ્રેમ કથા ન હતી. પણ કંકોતરી હતી શિખર અને મોનિકાના લગ્ન ની.  

= “શ્રીપતિ”

 

 

 

 

!! મા તે મા !! = "શ્રીપતિ"

Image

!! મા તે મા !!

                    આજે ૧૯/૫/૨૦૧૩ હતી. આજે વિશાલ અને પાયલના ઘરે વિશાલની સોસાયટીના લોકો તથા વિશાલની ઓફિસનો બધો સ્ટાફ ભેગો થયો હતો. આજે વિશાલના લગ્નની ચોથી વરસ ગાંઠ હતી અને તેના પુત્ર નિર્મલની જન્મની ત્રીજી વરસગાંઠ હતી. આ નિમિતે પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી પૂરી થતાં બધા પોતાના ઘરે જવા નીકળ્યા. પાર્ટીમાંથી ઘરે જવા માટે નીકળેલા વિશાલની ઓફીસના બે લોકો રસ્તામાં વાતે વળ્યા. “ખરેખર મિત્ર હોય તો વિજય જેવો. તેણે વિશાલ માટે કેટલું કર્યું.” એક જણે વાત શરુ કરી. બીજાએ જવાબ આપ્યો, “એમાંયે વિજયે ૧૯/૫/૨૦૧૨ના દિવસે જે કર્યું તે તો ખરેખર ધન્યવાદને પાત્ર છે. તેના પ્રયત્નથી જ તો આજે વિશાલ અને પાયલ આટલા ખુશ હતા.” 

      * * * * * * * * *   *  * *  * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

         આજે ૧૯/૫/૨૦૦૯ હતી. વિશાલ અને પાયલના લગ્નની તારીખ. આજે છેલા ત્રણ વરસથી સમાજ અને દુનિયાથી સંતાઈને ફરતા આ બે પ્રેમીઓ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. સમાજ અને જ્ઞાતિઓના બંધને  તેમને એક-બીજા સથે લગ્ન કરવાની મંજૂરી ના આપતા આ યુગલે દુનિયા અને સમાજ સામે પોતાના પ્રેમ માટે લડી લેવાની તૈયારી સાથે આજે માણસા ખાતેના ગાયત્રી મંદિરમાં લગ્ન કર્યા હતા. તેમના આ લગ્ન પ્રસંગમાં ત્રણ જ લોકોની હાજરી હતી.  વિશાલ,પાયલ અને તેમનો મિત્ર વિજય. વિશાલ પાયલ અને વિજય કોલેજમાં સાથે ભણેલા હતા. અત્યારે વિશાલ એક ખાનગી કંપનીમા મેનેજરની પોસ્ટ પર હતો. પાયલ તે જ કંપનીમાં રીશેપ્નિષ્ટ તરીકે જોબ કરતી હતી. બંને વચ્ચે મન મેળ થઇ જતા તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વિશાલ અને પાયલના લગ્ન પછી બન્ને પરિવારના લોકોએ તેમની સાથેના સબંધો કાપી નાખ્યા હતા. આ બન્ને માટે વિજય જ તેમનો સગો-વ્હાલો જે ગણો તે બધું હતો.

                   વિજયે બન્ને જણને પોતાના ઘરમાં જ આશ્રય આપ્યો. પોતાના બે માળના ઘરમાં ઉપરના માળે વિશાલ અને પાયલનો સંસાર શરું થયો. પાયલ તેના પરિવારને યાદ કરી ખુબ રડતી પણ વિશાલ તેને સમજાવી લેતો. ધીમે ધીમે વિશાલના પ્રેમે પાયલના પરિવારની ખોટ મિટાવી દીધી. વિજય પણ પાયલ માટે તેના ભાઈ અને દિયર એમ બન્ને તરફની ફરજો અદા કરતો. તેમનો સંસાર ખુશીથી ચાલી રહ્યો હતો. સમય પસાર થયો અને પાયલને પ્રગ્નેન્સી રહી. આ સમાચાર વિશાલ અને પાયલ માટે અત્યંત ખુશીના સમાચાર હતા. મા બનવાની ખુશીમાં પાયલ દુનિયાના બધા દુખ ભૂલી ગઈ. પાયલના આ દિવસોમાં વિશાલ તેની ખુબ કાળજી રાખતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો.

                  આજે ૧૯/૫/૨૦૧૦ હતી. આખરે પાયલની પ્રસુતિનો સમય આવી ગયો. ભગવાનની મહેરબાની થઈ અને તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો. વિશાલ અને પાયલની ખુશીનો પર ના રહ્યો. તેમણે બાળકનું નામ નિર્મલ રાખ્યું. તેમની લગ્નની તારીખ જ તેમના સંતાનની જન્મ તારીખ બની હતી. વિશાલે તેના ઘરે આખી સોસાયટી અને તેની ઓફીસનો બધો સ્ટાફ ભેગો કરી પાર્ટી આપી. આમ વિશાલ અને પાયલના સંસાર રૂપી બાગમાં નિર્મલ રૂપી ફૂલ ખીલતા તેમનો સંસાર બાગ મ્હેંકી ઉઠ્યો હતો.

                  લગભગ બે માસ જેટલો સમય પસાર થયો. વિશાલ ઓફીસ ગયો હતો. નિર્મલના જન્મ પછી પાયલે ઓફીસ જવાનું બંધ કરી દીધું હતું. તે ઘરે જ નિર્મલને સાચવતી હતી. પણ આજે નિર્મલ થોડો નરમ થયો હતો. પોતાની નટખટ હરકતોથી પાયલને હસવનાર નિર્મલે આજે રડવાનું શરું કર્યું હતું. પાયલના ખુબ પ્રયત્નો છતાં નિર્મલે રડવાનું બંધ ના કરતાં પાયલે વિશાલને ફોન કરીને ઓફિસથી ઘરે બોલાવ્યો. વિશાલે ઘરે આવીને જોયું તો નિર્મલ તાવથી ધગ-ધાગતો હતો. બંને જણ નિર્મલને લઈને દવાખાને ગયા. ડોક્ટરે કેટલાક રિપોર્ટ્સ કરાવવાનું કહ્યું. થોડીવારમાં રિપોર્ટ્સ આવી ગયા. વિશાલે પૂછ્યું, “ શું વાત છે ડોક્ટર, રિપોર્ટ્સ શું કહે  છે ?” “તમારા બાળકને ન્યુમોનીયાની અસર છે. તમે ચિંતા ના કરો હું પુરો પ્રયત્ન કરીશ તમે નિર્મલને એડમીટ કરી દો.” ડોક્ટરે આશ્વાસન આપ્યું અને નીર્મલની સારવાર શરું કરી. સમય વીતતો ગયો પણ નીર્મલની તબિયતમાં સુધાર જણાતો ન હતો. પાયલ વારંવાર ડોક્ટર પાસે દોડી જતી હતી, “ સાહેબ મારા નિર્મલને કેમ અરમ થતો નથી તેનું શરીર હજી પણ લોઢાની જેમ તપે છે.” ડોક્ટરે કહ્યું, “તમે હિંમત રાખો હું પુરો પ્રયત્ન કરીશ.” સમય વીતતો ગયો નિર્મલની તબિયત સુધરવાને બદલે વધુને વધુ બગડતી ગઈ. હવે તેને આંચકી આવવાની શરું થઇ ગઈ હતી. તેનું શરીર ખેંચાવા લાગ્યું હતું. પાયલ ચોંધાર આંસુએ રડી રહી હતી. પણ ભગવાનને પાયલ પર સહેજ પણ દયા આવતી ન હતી. ડોક્ટરના પ્રયત્નો પુરા થયા. આખરે નિર્મલને રજા આપવામાં આવી. બીજા દિવસે વિશાલના ઘરે આખી સોસાયટી અને તેની ઓફીસનો બધો સ્ટાફ ભેગો થયો હતો.

                  વિશાલ અને પાયલનું જીવન રાબેતા મુજબ ચાલવા લાગ્યું. આ સમય દરમ્યાન વિજયને વિઝા મંજુર થતા તે આખું ઘર વિશાલને સાચવવા આપીને જોબ માટે દુબઈ ચાલ્યો ગયો. વિશાલે જોયું કે પાયલ નિર્મલના ઉછેરમાં વ્યસ્ત બની ગઈ હતી. તેનો માતૃપ્રેમ તેના પતિપ્રેમને ઓળંગી ગયો. વિશાલ ઓફીસ માટે નીકળે ત્યારે પાયલ નીર્મલમાં જ વ્યસ્ત હોતી અને એ જયારે ઓફિસથી પાછો ફરે ત્યારે પણ પાયલ નીર્મલમાં જ મસ્ત હોતી. નિર્મલને સાચવવામાં તે વિશાલને સાચવવાનું ભૂલી જતી. છતાં વિશાલ ક્યારેય તેને કોઈ ફરિયાદ ન કરતો. વિશાલ સવારે ઉઠીને ચા માટે પુછે તો પાયલ સુતેલ નિર્મલ પર હાથ ફેરવતા કહેતી, “નિર્મલ હજી સુતો છે હું ઉઠીશ તો એ રડવા લાગશે તમે જાતે જ ચા બનાવીને પી લો.” વિશાલ જાતે જ ચા બનાવીને પી લેતો. વિશાલ ટીફીન બનાવવાનું કહેતો તો પાયલ નીર્માલને ખોળામાં લઈ તેની પીઠ થબ-થબાવીને નેકહેતી, “તમે જુઓ નિર્મલ રડે છે, હું એને સુવડાવું છુ એટલું કામ તમે જાતે જ કરી લો ને.” આમ પાયલ નિર્મલના પ્રેમમા અને ઉછેરમાં એટલી તો વ્યસ્ત થઇ ગઈ હતી કે ઘરના નાણા મોટા બધા કામ છેવટે વિશાલના ભાગે જ આવતા. તેમ છતાં વિશાલ પાયલને એક શબ્દ પણ ક્હેતો ન હતો. કારણકે તે પાયલને ખુબ ચાહતો હતો. એટલે સુધી કે રાતે વિશાલ પાયલની નજીક જવાનો પ્રયત્ન કરતો તો પાયલ તેને, “નિર્મલ જાગી જશે તો રડશે તેમ કહીને અટકાવી દેતી અને નિર્મલને પોતાની છાતીએ ચાંપીને સુઈ જતી. તેમ છતાં વિશાલ પાયલને કશું કેહતો ન હતો. વિશાલ માનતો હતો કે પાયલ તેના માટે થઈને દુનિયાને અને પોતાના પરિવારને છોડીને આવી હતી. હવે વિશાલેજ તેને સાચવવાની હતી. વિશાલે આ પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. પાયલ બસ આખો દિવસ નિર્મલના ઘોડિયા પાસે બેસીને તેને હિંચકા નાખે જતી હતી. આમને આમ બે વરસ જેટલો સમય પસાર થઇ ગયો. પોતાનો પરિવાર હોવા છતાં વિશાલ એકલો પડી ગયો હતો. તે પોતાનું દુખ મનમાં જ દબાવી રાખતો. પણ તેની ઓફીસના મીત્રો તેના દુઃખથી અજાણ ન હતા. આમ છતાં કોઈ તેને મદદ કરી શકે તેમ હતું.

                  એક દિવસ અચાનક દુબઈથી વિજયનો ફોન આવ્યો, “વિશાલ મારી જોબનું ટ્રાન્સફર ગુજરાતમાં થઇ ગયું છે. આવતી કાલે હું પાછો આવવાનો છું તું મને એરપોર્ટ પર લેવા આવજે.” વિજયના પાછા આવવાના સમાચાર સાંભળીને વિશાલ ખુશ થઇ ગયો. તે બીજા દિવસે વિજયને લેવા માટે એરપોર્ટ પર ગયો. થોડીવાર થઇ અને વિજયની ફ્લાઈટ આવી. વિજયને જોતા જ વિશાલ ગળગળો થઇ ગયો. તે વિજયને ભેટીને રડી પડ્યો. વિજયને કંઈ સમજાયું નહી. તે વિશાલને રડવાનું કારણ પૂછતો રહ્યો. પણ વિશાલ “કંઈ નહી યાર ઘણા દિવસે તને મળ્યો એટલે” એમ કહીને વિજયને સમજાવતો રહ્યો. વિજય પણ વિશાલને વરસોથી ઓળખતો હતો. તે સમજી ગયો કે વાત બીજી કંઈક હતી. બન્ને જણ ઘરે આવ્યા. વિજયે ઘરે આવીને જોયું તો પાયલ ઘોડિયા પાસે બેઠી બેઠી ઘોડિયાને હિંચકો નાખી નિર્મલને સુવાડી રહી હતી. વિજયના આશ્ચર્યનો પર ના રહ્યો. તેણે વિસ્મય ભરી નજરે વિશાલ સામે જોયું તો વિશાલની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. વિજયને કશું સમજાયું નહી. વિજય વિશાલને બીજા રૂમમાં લઇ ગયો ત્યાં તેણે વિશાલને પોતાના સમ આપીને સાચી હ્કીહત  પૂછી.

વિશાલે રડતી આંખે માંડીને વાત કરી. તેનો સાર આ હતો……..

             “”વાત એમ હતી કે ઘરેથી દવાખાને ગયેલો નિર્મલ ઘરે પાછો ફર્યો જ ન હતો. ન્યુમોનિયાના તાવમાં દવાખાને જ નિર્મળનું મૃત્યુ થયું હતું. પણ આ વાત પાયલનું મન સ્વીકારવા માટે તૈયાર ન હતું. તેનું માતૃ હૃદય નિર્મલના પ્રેમમાં એવું તો પરોવાઈ ગયું હતું કે નિર્મલ હવે આ દુનિયામાં નથી તે હકીકતને તે સ્વીકારી શકતું ન હતું. નિર્મલના મૃત્યુના સમાચારે તેને એવી હચમચાવી નાંખી હતી કે તે પોતાનું માનસિક સમતુલન ગુમાવી બેઠી  હતી. તે એટલી હદ સુધી કે તેણે ઓશિકાને પોતાનો નિર્મલ બનાવી લીધો હતો. તે ઓશીકાને જ નીર્મલ માની તેને નવરાવતી, તેને ખવરાવતી અને ઓશીકાને જ ઘોડીયામાં નાખી તેને હાલરડા ગાઈ તેને સુવડાવતી. ઘણી વાર તો વિશાલ પાસે ઊભી હોય ત્યારે અચાનક જ “જુવો નિર્મલ રડવા લાગ્યો” તેમ કહીને ઘોડિયા તરફ દોડી જતી અને ઘોડિયામાંથી ઓશીકાને તેડી લીને “ચુપ થઇ જા બેટા ચુપ થઇ જા” એમ કહીને તેને ચુપ કરવા લાગતી.””

               આ બધું સાંભળી વિજયનું મન કંપી ઉઠ્યું. તેની અંખોમાંથી આંસુ છલકાઈ ગયા. વિશાલ તેને વળગીને રોઈ રહ્યો હતો. તેણે વિશાલને આશ્વાસન આપ્યું અને શાંત કર્યો. વિશાલની આ પરિસ્થિતિ વિજયથી જોવાતી ન હતી. તેણે પાયલને કોઈ મનોરોગના ડોક્ટર પાસે લઇ જવાની સલાહ વિશાલને આપી. વિશાલે કહ્યું. “એ પ્રય્ત્ન તો હું કેટલીય વાર કરી ચુક્યો છું. પણ પાયલ તેના કહેવાતા નિર્મલને છોડીને ક્યાંય જવા માટે તૈયર નથી. અને તેનાપર વધારે પ્રેશર કરવાનો મારો જીવ નથી ચાલતો. આમને આમ દિવસો વિતતા ગયા. વિજય વિશાલ અને પાયલની આ સ્થિતિથી વ્યાકુળ હતો પણ તેને કોઈ રસ્તો મળતો ન હતો. એકવાર રાતે તે આ બાબતે ઊંડો વિચાર કરતો સુઈ ગયો. સવારે વહેલા અચાનક તેની આંખ ઊઘડી તો તેના કાને પાયલનો અવાજ પડ્યો. તે વિશાલને કહી રહી હતી. “જુવોને નિર્મલ રડ-રડ જ કરે છે ચુપ જ થતો નથી.” આ સાંભળી વિજય ઉપર વિશાલને ઘરે ગયો. જઈને જોયું તો પાયલ ઘોડિયા ઓશિકાને હિંચકો નાંખી રહી હતી. આ જોઈને અચાનક જ વિજયના મનમાં એક વિચાર જાગ્યો. તેણે તરત જ વિશાલને પોતાની પાસે બોલાવી એક વાત કરી. વિશાલ વિજયની વાત સાથે સંમત થયો.

      * * * * * * * * *   *  * *  * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

                  આજે ૧૯/૫/૨૦૧૨ હતી. આજે વિશાલ અને પાયલના લગ્નની ત્રીજી વરસગાંઠ અને તેમના બાળક નીર્માલના જન્મની બીજી વરસગાંઠ હતી. વિશાલના ઘરનો એક ઓરડો રંગબેરંગી ફૂલોથી શોભી રહ્યો હતો. ઓરડાની છત ફુગ્ગાઓથી થી શોભી રહી હતી. દીવાલ પર ‘હેપી બર્થ ડે’ ના સ્ટીકર લાગેલા હતા. ટેબલ પર કેક ગોઠવાયેલી હતી. વિશાલની સોસાયટી અને તેની ઓફિસનો સ્ટાફ આજે ફરી તેના ઘરે ભેગો થયો હતો. પાયલ પણ આ બધી ગોઠવણીમાં સાથ આપી  રહી હતી. તેનો નિર્મલ બાજુના રૂમમાં જ ઘોડીયામાં સુતો હતો. અચાનક જ ઘોડીયામાંથી નિર્મલના રડવાનો અવાજ આવ્યો. પાયલ ચમકીને ઘોડીયાવાળા રૂમ તરફ જોવા લાગી. બધાએ તેને કહ્યું, “પાયલ નિર્મલ જાગી ગયો લાગે છે જા તેને  અહીં લઈ આવો. એની પાસે કેક કપાવવાની છે.” પાયલ “હા હા લઈ આવું છું” કહેતી ઘોડિયાવાળા રૂમ તરફ દોડી ગઈ. જઈને જોયું તો નિર્મલ હાથ-પગ પછાડીને રોઈ રહ્યો હતો. રોજ નિર્મલના રડવાનો અણસાર આવતા ઘોડિયા પાસે દોડી જઈ નિર્મલને તેડી લેતી પાયલ આજે ઘોડિયા પાસે જઈને અટકી ગઈ. તે ઘોડિયા તરફ એકીટશે જોઈ રહી છે પણ નિર્મલને લેતી નથી. આ જોઈ બધા લોકોના શ્વાસ અધ્ધર ચઢી ગયા. નિર્મલનું રડવાનું ચાલુ જ હતું. એટલામાં વિજય પાયલની પાસે આવ્યો અને કહ્યું, “પાયલ નિર્મલને શું કામ રોવડાવે છે ? તેને તેડી લે.” ઘરમાં હાજર બાકી બધા લોકોએ પણ પાયલને એ જ કહ્યું. છેવટે પાયલે નિર્મલને તેડી લીધો અને તેની પર ચુમ્બનોનો વરસાદ વરસાવી દીધો. આ જોઈ બધાની આંખમાં આંસુ આવી ગયા. બધા પછી નિર્મલને લઈને પાર્ટી વાળા રૂમમાં આવ્યા. ત્યાં નિર્મલના હાથે કેક કાપવામાં આવી અને નિર્મલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.

      * * * * * * * * *   *  * *  * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

                બન્યું હતું એમ કે વિજયે વિશાલને જે વાત માટે સંમત કર્યો હતો. તે વાતની સફળતાથી જ આજની પાર્ટી શક્ય બની હતી. પાયલને પોતાના કહેવાતા પુત્ર નિર્મલ (હકીકતમાં ઓશીકું) ના રડવાના અવાજના જે ભણકારા વાગતા હતા તેને જોઈને વિજયને એક વિચાર સુજ્યો હતો. અને તેની ગોઠવણી મુજબ જ વિશાલની સમ્મતિથી આજે અનાથ આશ્રમમાંથી એક બે વરસના અનાથ બાળકને દત્તક લઇને નિર્મલ બનાવી ઘોડીયામાં સુવાડવામાં આવ્યો હતો. પોતાના પુત્ર પ્રેમમાં બાવરી બનેલી પાયલ માટે બાળકના રડવાનો અવાજ એ તેના નીર્માંલનો જ અવાજ હતો. અને વિજયનો પ્રયત્ન સફળ રહ્યો થોડા અસમંજસ બાદ ઘોડીયામાં રડતા બાળકને પાયલે પોતાના નિર્મલ તરીકે તેડી લીધો.

સમાપ્ત

                                                                                                  = શ્રીપતિ.

                                                                                              =   વિષ્ણું દેસાઈ.

( દુનિયામાં પ્રેમના અનેક સ્વરૂપ છે. માતા-પુત્રનો પ્રેમ, પતિ-પત્નીનો પ્રેમ, બે પ્રેમીઓનો પ્રેમ, મિત્રનો પ્રેમ, સહ-કાર્યકરોનો પ્રેમ. આ વાર્તામાં બધાજ પ્રકારના પ્રેમના દર્શન આપણને થાય છે. પણ માતાના પ્રેમને તોલે આવી શકે તેવો કોઈ પ્રેમ આ દુનિયામાં બીજો નથી. આ વાત માત્ર માનવમાં જ નહીં પરંતુ પશુ-પંખીઓમાં પણ જોવા મળે છે. આ વાર્તા મારી લખેલી ઘણી વાર્તાઓમાની એક મને ગમતી વાર્તા છે.  આ વાર્તા મારા માતૃશ્રી અમથીબેન દેસાઈને અર્પણ છે.  અમથીબેન, મને જનમો-જનમ તમે જ માતા તરીકે મળજો. “માતૃદેવો ભવ:”)

 

             

.